મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી-શિવસેના મળીને સરકાર બનાવવા માટે તૈયાર છે. સૌથી મોટો પક્ષ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવામાં અસમર્થ છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીનું કહેવું છે કે, શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બને તો પણ તે વધુ સમય ટકશે નહીં.
મહારાષ્ટ્રમાં સરકારને લઇને નીતિન ગડકરીએ કરી ટિપ્પણી
સરકાર બનશે તો પણ વધુ નહીં ચાલેઃનીતિન ગડકરી
કોંગ્રેસ NCPની વિચારધારામાં અંતર છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ અંગે નીતિન ગડકરીએ કહ્યું કે, 'કોંગ્રેસ-એનસીપી-શિવસેના વચ્ચે વિચારધારાનો તફાવત છે. ભલે તે સરકાર બને, પણ તે આગળ વધશે નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસ-શિવસેના-એનસીપી ગઠબંધન તકવાદી છે, મહારાષ્ટ્રને અસ્થિર સરકાર મળે તો સારું નહીં.
ભાજપના મંત્રીનું મોટું નિવેદન
નોંધનીય છે કે, નિતિન ગડકરીનું નિવેદન તે સમયે આવ્યું કે, જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ અને NCP ના ગઠબંધન પર ફાઇનલ મહોર લાગી શકે છે. શુક્રવારની સાંજે ત્રણેય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ સાથે જોવા મળશે અને ગઠબંધન ફાઇનલ કરશે.
ભાજપ ન બનાવી શકી સરકાર
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જેણે 105 બેઠકો પર કબજો જમાવ્યો છે. ચૂંટણી પહેલા ભાજપ-શિવસેના એક સાથે હતી જો કે, મુખ્યમંત્રી પદની ખેંચતાણને લઇને થયેલ વિવાદને કારણે બંન્નેના રસ્તાઓ અલગ થઇ ગયા. આ પહેલા નિતિન ગડકરીએ મહારાષ્ટ્રની રાજનિતી અંગે કહ્યું હતું કે, ક્રિકેટ અને રાજનિતીમાં કાંઇપણ થઇ શકે છે.
આપને જણાવી દઇએ કે, શિવસેના-ભાજપને મહાગઠબંધન તરીકે બહુમતી મળી, પરંતુ ભાજપ પાસે જાતે જ સરકાર બનાવવાનો આંકડો નહોતો. આ જ કારણ છે કે ભાજપ દ્વારા સરકાર બનાવવાનો દાવો પણ કરવામાં આવ્યો ન હતો.
ઉદ્ધવ ઠાકરે બનશે મુખ્યમંત્રી ?
શિવસેના, કોંગ્રેસ અને NCP સરકાર બનાવવા માટે એક સાથે નજરે પડી રહ્યા છે. ત્રણેય પાર્ટીઓ વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. જો કે, આ સમયે એવી પણ વાત વહેતી થઇ છે કે, ગઠબંધનની સરકારની કમાન ઉદ્ધવ ઠાકરેના હાથમાં સોંપવામાં આવી શકે છે. જ્યારે કોંગ્રેસ-NCP પાસે ડેપ્યુટી CM પદ રહી શકે છે.