અકસ્માતોને લઈને નીતિન ગડકરીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું- કારમાં પાછળની સીટ પર બેઠેલા લોકો માટે સીટ બેલ્ટ લગાવવો એટલો જ જરૂરી છે જેટલો આગળની સીટ પર બેઠેલા વ્યક્તિ માટે.
માર્ગ અકસ્માતોને લઈને ગડકરીની ચિંતા
કહ્યું સીટ બેલ્ટ લગાવવો ખૂબ જરૂરી
પાછળ બેઠેલ વ્યક્તિ પણ જરૂર લગાવે સીટ બેલ્ટ
ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં મૃત્યુ બાદ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH)એ પાછળની સીટ પર બેલ્ટ રિમાઇન્ડર ફરજિયાત બનાવવા અંગે ડ્રાફ્ટ સૂચના જાહેર કરી છે. આ ડ્રાફ્ટ નોટિફિકેશન પર 5 ઓક્ટોબર સુધી લોકોનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. પબ્લિક કમેન્ટના આધારે ડ્રાફ્ટ ફેરફારમાં ફેરફાર કરી શકાય છે.
N અને M વાહનો માટે આ નિયમ
નોટિફિકેશન અનુસાર મંત્રાલયે N અને M વાહનો માટે આ ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. કેટેગરી M એટલે ફોર વ્હીલર જેમાં મુસાફરોને લઈ જવામાં આવે છે. બીજી તરફ કેટેગરી Nમાં એવા મોટર વાહનોનો સમાવેશ થાય છે. જેમાં ઓછામાં ઓછા ચાર પૈડાં હોય છે અને તેનો ઉપયોગ માલસામાન તેમજ પેસેન્જરોને લઈ જવા માટે કરવામાં આવે છે.
કાર અકસ્માતમાં થયું હતું સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ
4 સપ્ટેમ્બરે કાર અકસ્માતમાં 54 વર્ષીય સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું ત્યારથી કેન્દ્ર સરકાર રિયલ સીટ બેલ્ટ રિમાઇન્ડરને ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે. મિસ્ત્રી ઉપરાંત તેમના મિત્ર જહાંગીર પંડોલે (49)નું કાર અકસ્માતમાં મોત થયું હતું. સાયરસ અને જહાંગીર કારની પાછળની સીટ પર બેઠા હતા અને બંનેએ સીટ બેલ્ટ પહેર્યા ન હતા. જ્યારે આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા મહિલા ડોક્ટર અનાયતા પંડોલે અને તેના પતિ દર્યાસ પંડોલેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને અડધા કરવાનો હેતુ
આ મહિનાની શરૂઆતમાં, કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઈ-કોમર્સ કંપનીઓને કાર સીટ બેલ્ટ એલાર્મને ડિસેબલ કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ ઉપકરણોનું વેચાણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગડકરીએ કહ્યું હતું કે તેમનું મંત્રાલય 2024ના અંત સુધીમાં માર્ગ અકસ્માતો અને સંબંધિત મૃત્યુને અડધા કરવાનો લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે.
પાછળની સીટમાં સીટ બેલ્ટ પહેરવો ફરજીયાત
કેન્દ્રીય કેબિનેટ મંત્રીએ કહ્યું હતું કે પાછળની સીટ પર સીટ બેલ્ટ પહેરવો પહેલાથી જ ફરજિયાત છે. પરંતુ લોકો તેનું પાલન નથી કરી રહ્યા. કારની પાછળ બેઠેલા લોકો માટે સીટ બેલ્ટ પહેરવો એટલો જ મહત્વપૂર્ણ છે જેટલો આગળની સીટ પર બેઠેલા લોકો માટે છે. હવે પાછળની સીટ પર બેઠેલા મુસાફરો સીટ બેલ્ટ ન પહેરે તો પણ દંડ થશે. તેમણે જણાવ્યું કે તેમનો ઉદ્દેશ્ય જાગૃતિ ફેલાવવાનો છે.