કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક મોટો દાવો કર્યો છે, તેમનું કહેવુ છે કે, આગામી પાંચ વર્ષમાં ભારતમાં પેટ્રોલ બેન થઈ જશે.
કેન્દ્રીય મંત્રીનો મોટો દાવો
આવનારા પાંચ વર્ષમાં ભારતમાં બેન થઈ જશે પેટ્રોલ
જાણો કેમ આવું કહી રહ્યા છે નીતિન ગડકરી
દેશમાં પેટ્રોલ બેનની કલ્પના કદાચ સામાન્ય માણસ નહીં કરી શકે, પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે, આવનારા 5 વર્ષમાં દેશમાં પેટ્રોલ પર પ્રતિબંધ લાગી જશે અને દેશમાં તેની જરૂર જ નહીં રહે. કેન્દ્રીય મંત્રીના આ દાવાની સચ્ચાઈ તો ભવિષ્યમાં ખબર પડશે, પણ જો પેટ્રોલનો કોઈ સસ્તો વિકલ્પ લાગૂ થાય છે, તો સામાન્ય માણસ માટે આ એક બહું મોટી રાહત હશે.
ગડકરીએ ગુરૂવારે અકોલામાં ડો. પંજાબરાવ દેશમુખ કૃષિ યુનિવર્સિટીના 36માં દીક્ષાંત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે બોલતા દેશમાં આવનારા સમયમાં પેટ્રોલ બેન લાગવાનો દાવો કર્યો હતો. આ અવસરે ગડકરીને કૃષિ યુનિવર્સિટીના ડોક્ટર ઓફ સાયન્સની ઉપાધી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમની અધ્યક્ષતા મહારાષ્ટ્રના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ ભગત સિંહ કોશ્યારીએ કરી હતી.
ખેડૂતો બન્યા ઊર્જાદાતા
કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે, હવે વિદર્ભમાં પણ બાયો ઈથેનોલનો ઉપયોગ વાહનોમાં થઈ રહ્યો છે. ગ્રીન હાઈડ્રોજનનું નિર્માણ કુવાના પાણીમાંથી કરી શકાય છે અને તેને 70 રૂપિયા પ્રતિકિલોના હિસાબે વેચી શકાય છે. તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં દેશમાંથી પેટ્રોલ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે, ફક્ત ઘઉં, ચોખા, મકાઈ વગેરે પરંપરાગત પાક ઉગાડવાથી ખેડૂતોનું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકશે નહીં. ખેડૂતોએ હવે કંઈક નવું કરવું જોઈએ. ગડકરીએ કહ્યું કે, ખેડૂતોને હવે અન્નદાતાની સાથે સાથે ઊર્જા દાતા પણ બનવાની જરૂર છે.
ઈથેનોલ છે બચતનો ભંડાર
ગડકરીએ કહ્યું કે, ઈથેનોલ પરના એક નિર્ણયથી દેશના 20,000 કરોડ રૂપિયાની બચત થઈ છે. નજીકના ભવિષ્યમાં બે પૈડા અને ચાર પૈડાવાળા વાહન ગ્રીન હાઈડ્રોજન, ઈથેનોલ અને સીએનજી પર આધારિત હશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વિદર્ભમાં કપાસ બાંગ્લાદેશને નિકાસ કરવાની યોજના છે, જેના માટે યુનિવર્સિટીના સહયોગની આશા છે. વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યા રોકવા માટે યુનિવર્સિટી મહત્વનું યોગદાન આપી શકે છે.