કચ્છમાં ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ NH-341ના અપગ્રેડેશન માટે રુ.1373.06 કરોડના ખર્ચે કેન્દ્ર સરકારની મંજૂરી
કચ્છમાં ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ મંજૂરી
NH-341ના અપગ્રેડેશન માટે રુ.1373.06 કરોડ
ભીમાસર જંક્શનથી અંજાર ભુજ સુધી અપગ્રેડેશન થશે
કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા પરિયોજના હેઠળ જંગી ખર્ચે હાઇવે રોડ બનાવવાનું આયોજન છે. ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના કચ્છ જિલ્લાને મોટી ભેટ મળવા જઇ રહી છે. કચ્છની રુડી ધરતી પર ફોર લેન હાઇવે બનાવવા માટે કરોડો રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ અંગે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીએ આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી. જેથી હવે ભીમાસરથી ભૂજ એરપોર્ટ જંક્શન સુધીનો સડસડાટ ફોરલેન રોડ બનશે.
નીતિન ગડકરીએ કર્યુ ટ્વિટ
રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટરે ટ્વિટ કરતા જણાવ્યું કે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારતમાલા પરિયોજના હેઠળ NH-341 ના ભીમાસર જંક્શનથી અંજાર ભુજ એરપોર્ટ જંક્શન સુધી 4 લેનમાં અપગ્રેડ કરવા માટે રુ. 1373.06 કરોડ બજેટ સાથે સ્વીકૃતિ આપવામાં આવી છે. આ રોડના રિપેર અને મેન્ટેનન્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા બજેટની ફાળવણી સાથે મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશના ચાર ખૂણાને જોડવા માટે મહત્વકાંક્ષી ભારતમાલા પ્રોજેક્ટ હાથ ધરાયેલો છે. તે માટે જંગી ખર્ચે હાઇવે રોડ બનાવવાનું આયોજન છે. અને સુરત, નાસિક, અહમદનગર માટે અલાયદો હાઇવે રોડ બનાવવા જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પાડી દેવાયું હતું. સુરતથી મહારાષ્ટ્રના અહમદનગર વચ્ચે ૩૦૦કિલોમીટરનો નેશનલ હાઇસ્પીડ કોરીડોર તૈયાર કરવા કેન્દ્ર સરકાર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ વિવિધ કામગીરીઓ ચાલી રહી છે. જમીન માપણી અને જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે તો કેટલીક જગ્યાએ કામગીરીની શરુઆત પણ થઇ ગઇ છે.