સરકારની થિન્ક ટેન્ક સંસ્થા નીતિ આયોગ CEO IAS અધિકારી અમિતાભ કાન્તે પરપ્રાંતીય મજૂરોના સંકટ મુદ્દે કેન્દ્ર સરકારનો બચાવ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારો વધુ સારી કામગીરી કરી શક્યા હોત.
ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં કેન્દ્ર સરકારની ભૂમિકા મર્યાદિત હોય છે: કાન્ત
રાજ્યો વચ્ચેની અવ્યવસ્થા અને ગૂંચવણને કારણે કામદારોની સ્થિતિ કથળી હતી: કાન્ત
NDTV સાથે વાત કરતી વખતે કાન્તે જણાવ્યું હતું કે કોરોના વાયરસ મહામારી અને શ્રમિકોને વતન પહોંચાડવા જેવા પડકારોને કેન્દ્ર ઉપરાંત રાજ્ય, જિલ્લા અને સ્થાનિક સ્તર સુધી પગલાં લેવાય એ જરૂરી હતું. 25 માર્ચથી લાગુ કરાયેલા લોકડાઉનમાં શ્રમિકો દેશના જે તે રાજ્યોમાં તેમના વતનથી દૂર ફસાઈ જતા અને ઉગયોગો બંધ થઇ જવાથી તેમનો રોજગાર અને પગાર છીનવાઈ જતા તેઓએ પરિવહનની ગેરહાજરીમાં પગપાળા જ હજારો કિમી દૂર આવેલા તેમના વતનની વાટ પકડવા મજબૂર બન્યા હતા.
ભારતીય અર્થતંત્રના ઇન્ફોર્મલ સેક્ટરમાં ઘણા બધા કામદારો વધી ગયા છે
આ પૈકી કેટલાક શ્રમિકોએ જોખમી રસ્તાઓ અપનાવીને રેલવે ટ્રેક ઉપર ચાલીને અથવા માલસામાનની ટ્રકો ઉપર ચડીને મુસાફરી કરી હતી જે પૈકી કેટલાય શ્રમિકો મોતને ભેટ્યા હતા. 1 મેથી સરકારે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દોડાવીને શ્રમિકોને મદદ કરી આમ છતાં ઘણા શ્રમિકોએ પોતાનો પગપાળા પ્રવાસ ચાલુ રાખ્યો. અમિતાભ કાન્તે આ મુદ્દે એક મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે એવા કાયદા બનાવ્યા છે જેથી અર્થતંત્રના ઇન્ફોર્મલ સેક્ટરમાં ઘણા બધા કામદારો વધી ગયા છે. શ્રમિકોનું પરિવહન ચોક્કસ એક પડકાર છે પરંતુ એ સમજવું જરૂરી છે કે ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં કેન્દ્ર સરકારની ભૂમિકા મર્યાદિત હોય છે.
સંક્રમણના ડરથી ઘણા કામદારોને વતનમાં પ્રવેશ નથી મળતો
તેમણે આગળ જણાવ્યું કે સંક્રમણના ભયને કારણે એવું બન્યું કે રાજ્યોએ કામદારોને તેમના વતન મોકલી આપ્યા હતા પરંતુ જે તે રાજ્યોએ આવેલા કામદારોને પ્રવેશ મનાઈ ફરમાવી દીધી જેથી રાજ્યમાં ચેપ ન વધે. કેન્દ્ર સરકાર આ મુદ્દે રાજ્યોને માર્ગદર્શન આપતું રહ્યું હતું પણ રાજ્યો વચ્ચેની અવ્યવસ્થા અને ગૂંચવણને કારણે કામદારોની સ્થિતિ કથળી હતી.
દેશના NGOs કરી રહ્યા છે દિવસ રાત મહેનત
તેમણે ઉમેર્યું હતું કે ઘણા રાજ્યોએ સારી કામગીરી પણ કરી છે. દેશના 92000થી વધારે મંડળો અને NGOs પરપ્રાંતીય શ્રમિકોની મદદ, તેમને ખોરાક, રહેવા વગેરે માટે વ્યવસ્થા કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે તેમને કોરોના વાયરસના વધતા કેસ કરતા વધુ ચિંતા જે લોકો પહેલેથી જ રોગથી પીડિત છે તેમની સારસંભાળ લેવાની છે. ભારતનો મૃત્યુદર ઓછો છે એ સકારાત્મક બાબત છે પણ તે વધે નહીં એ જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર હોટસ્પોટ માટે કડક કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી બનાવી રહી છે.