ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈને બે જુદા જુદા રિપોર્ટ સામે આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે બંને રિપોર્ટમાં તદ્દન ઉંધા જ દાવા કરવામાં આવી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસને લઈને મોટા સમાચાર
24 જ કલાકમાં બે જુદા જુદા રિપોર્ટ આવ્યા સામે
એકમાં રાહત તો બીજા રિપોર્ટથી વધશે ટેન્શન
બે જુદા જુદા રિપોર્ટથી ગૂંચવણ
ભારતમાં કોરોના વાયરસને લઈને હાલ રાહતનાં સમાચાર કહી શકાય કે કેસની સંખ્યા સ્થિર છે સામે સારા પ્રમાણમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જોકે કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈને ભારતીયોનાં મનમાં હજુ આશંકા છે અને બીજી લહેરમાં જે હાલત થઈ હતી તે યાદ આવતા ભયભીત થઈ જવાય છે ત્યારે ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈને બે જુદા જુદા રિપોર્ટ સામે આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે બંને રિપોર્ટમાં તદ્દન ઉંધા જ દાવા કરવામાં આવી રહ્યા છે. જ્યાં એક બાજુ નીતિ આયોગ કહી રહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં જ રોજના ચાર લાખ કોરોના વાયરસનાં કેસ આવી શકે છે અને 2 લાખ ICU બેડ પણ તૈયાર રાખવાની સલાહ આપવામાં આવી છે ત્યાં IIT ના પ્રોફેસર દ્વારા બહાર પાડવામાં આવેલ રિપોર્ટમાં દાવો કરાયો છે કે ત્રીજી લહેર તો લેશ માત્ર આવશે અને કેટલાય રાજ્યો તો ઓકટોબર મહિનામાં કોરોના વાયરસથી મુક્ત થઈ જવાના છે. હવે આ બંને રિપોર્ટમાંથી કોના પર વિશ્વાસ કરવો એ મોટો સવાલ ઊભો થાય છે.
પહેલો રિપોર્ટ : લાખો બેડ તૈયાર રાખજો : નીતિ આયોગ
નીતિ આયોગનાં સદસ્ય પોલે કેન્દ્ર સરકારને સલાહ સૂચન કર્યા છે જેમાં તેમણે કહ્યું છે કે ભવિષ્યમાં દર 100માંથી 23 કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. ધ ઇંડિયન એક્સપ્રેસના મીડિયા અહેવાલ અનુસાર આ પહેલા નીતિ આયોગ તરફથી સપ્ટેમ્બર 2020માં બીજી લહેરને લઈને અનુમાન લગાવવામાં આવ્યું હતું. નીતિ આયોગીનું માનવું છે કે ખરાબ પરિસ્થિતિ માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે. આયોગે એક દિવસમાં જ ચારથી પાંચ લાખ કોરોના વાયરસનાં કેસ આવશે તેવું અનુયાયમં લગાવ્યું છે અને આગામી મહિના સપ્ટેમ્બરમાં જ બે લાખ ICU બેડ તૈયાર રાખવા માટે સલાહ આપી છે. આટલું જ નહીં આ 2 લાખ બેડમાં 1.2 લાખ બેડ વેન્ટિલેટર સાથે ICU જ્યારે 7 લાખ ICU હોસ્પિટલ વગરનાં બેડ તૈયાર રાખવાની સલાહ આપી છે. 7 લાખ ICU બેડમાં પાંચ લાખ બેડમાં ઑક્સીજન રાખવા પણ નિર્દેશ કરવાની જરૂર જણાવવામાં આવી છે અને 10 લાખ કોવિડ આઈસોલેશન કેર બેડ રાખવા કહેવામાં આવ્યું છે.
બીજો રિપોર્ટ : ત્રીજી લહેર આવશે જ નહીં, ઓકટોબરમાં કેટલાય રાજ્યો થશે 'કોરોનામુક્ત'
કાનપુર IITનાં સિનિયર વૈજ્ઞાનિકે ત્રીજી લહેરને લઈને ઇનકાર જ કરી દીધો છે. તેમનું માનવું છે કે ત્રીજી લહેરની સંભાવના સાવ ઓછી છે. દેશમાં મોટા પાયે વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે જેને જોતાં ત્રીજી લહેર આવે તેવું લાગી નથી રહ્યું. પ્રોફેસર અગ્રવાલે ગણિતીય સૂત્ર મોડલનાં આધારે સ્ટડી જાહેર કરી છે. આ રિપોર્ટ અનુસાર યુપી અને બિહારમાં ખૂબ જ ઓછા કેસ સામે આવી રહ્યા છે અને ઓકટોબર મહિનામાં ભારતમાં એક્ટિવ કેસ ઘટીને માત્ર 15 હજાર રહી જશે.
ખાસ વાત એ છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરને લઈને કાનપુર IIT દ્વારા જે દાવા કરવામાં આવ્યા હતા તે સાચા પુરવાર થયા હતા.