ભાવનગરના કોળિયાકમાં ભાદરવી અમાસના યોજાનારા મેળાને લઈ અહીં આવેલા શિવલિંગ ઉપર સૌ પ્રથમ ધજા રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવે છે.
ભાવનગર રાજવી પરિવારે કર્યું ધજાનું પૂજન
નિષ્કલંક મહાદેવને ચડાવાશે ધજા
125 વર્ષથી રાજવીર પરિવાર ચડાવે છે ધજા
અરબી સમુદ્રમાં આવેલું આવું જ એક અનોખું મંદિર એટલે ગુજરાતમાં ભાવનગર નજીક આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિષે કદાચ વિશેષ માહિતી નહિ ધરાવતા હોય પણ આ મંદિર પૌરાણિક મહત્વ તેમજ કુદરતી સુંદરતા બંને દ્રષ્ટિએ અનેરું સ્થાન ધરાવે છે. ત્યારે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લીધો હતો. ત્યારે હવે આવતીકાલે ભાદરવી અમાસે ત્યારે આ સ્થળે પ્રતિ વર્ષ શ્રાવણના અંતિમ દિવસે ભાદરવીનો લોક મેળો ભરાય છે. આ દિવસે સમુદ્ર સ્નાન કરવાનું અનેરું મહત્વ હોઈ છે. આ દિવસે મંદિર પર ધજા રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવે છે. આજે રાજવી પરિવારે ધજાનું પૂજન કરી ધજાને કોળિયાક મોકલી હતી.
125 વર્ષથી રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવે છે સૌપ્રથમ ધજા
ભાવનગરના કોળિયાક ખાતે દરિયાની મધ્યે પાંડવોના સમયથી એક શિવલિંગ આવેલું છે. અહીં મંદિર પર છેલ્લા 125 વર્ષથી રાજવી પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવે છે. આ ધજા લઈને સરવૈયા પરિવારના લોકો બોટમાં બેસીને વહેલી સવારે દરિયામાં ઓટના સમયે આ ધજા ચડાવવા જશે અને ત્યારબાદ અહીં દેશભરમાંથી આવેલા ભક્તો સમુદ્ર સનાન કરીને ધન્યતા અનુભવશે. દરિયાના મધ્યમાં આવેલા આ શિવલિંગ દરરોજ માત્ર ઓટના સમયે દર્શન કરવા જઇ શકાય છે.
નિષ્કલંક મહાદેવ તરીકે કેમ ઓળખાય શિવલિંગ છે?
નિષ્કલંક એટલે કે નિષ-કલંક. જ્યાં કોઈ જ કલંક નથી તે જગ્યા. આ મંદિરની કથા મહાભારતનાં સમયની હોવાનું માનવામાં આવે છે. અહીં મહાભારત યુગમાં પાંડવોએ સમુદ્ર મધ્ય શિવલિંગની સ્થાપના કરી અને સ્નાન કરવાથી નિષ્કલંક થયાની લોકવાયકા છે. કુરુક્ષેત્રનાં યુદ્ધની પૂર્ણાહુતિ બાદ પાંડવો તેમના સેંકડો સબંધીઓના મૃત્યુ બદલ પોતાને અપરાધી માની રહ્યા હતા. પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા તે ભૂમિ પર કોઈ જ પાપ થયું ન હોવાથી ત્યાં પાંચેય ભાઈઓએ પાંચ શિવલિંગની સ્થાપના કરી અને નિષ્કલંક મહાદેવ મંદિર અસ્તિત્વમાં આવ્યું. આજે આ શિવલિંગ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે.
ધ્યાનમાં રાખવાની બાબત
સમુદ્રની મધ્યે આવેલું હોવાથી નિષ્કલંક મહાદેવનાં દર્શન દરરોજ કોઈ ચોક્કસ સમય પૂરતાં જ મર્યાદિત બની જાય છે. દર્શનનો સમય સંપૂર્ણપણે ભરતી-ઓટ પર આધારિત છે અને ભરતી-ઓટ હિન્દુ મહિનાઓની તિથી અનુસાર બદલાય છે. પૂનમ તેમજ અમાસે ભરતી તેમજ ઓટ સવિશેષ જોવા મળે છે.