જામનગરમાં જમીન માફિયા જયેશ પટેલની ગુંડાગીરીને લઈને વધુ એક વખત નિશા ગોંડલિયા મેદાને આવી છે. નવા એસપી દીપેન ભદ્રેનની નિમણુંકને લઈને હાલ જામનગરનો માહોલ ગરમાયો છે. ત્યારે માફિયાગીરી અને રાજકારણીઓના સહારે જામનગરમાં ચાલી રહેલી ગુન્હાખોરીને લઈને સરકાર પણ હરકતમાં આવી છે.
જામનગરના હાલના માહોલને લઈને જયેશ પટેલની ગુંડાગીરીનો ભોગ બનેલ નિશા ગોંડલિયાએ વધુ એક વખત જીલ્લા પોલીસ વડા કચેરીએ પહોંચી આવેદન પત્ર પાઠવ્યુ છે. મીડિયા સાથેની વાતચીતમાં નિશાએ જયેશ પટેલના કરતૂતો અને તેને રાજકારણના પીઠબળ અંગે સણસણતા આક્ષેપ કર્યા છે.
નિશા ગોંડલિયા એ જયેશ પટેલ અને તેના મળતિયાઓ સામે કાનૂની લડત શરૂ કરી છે, અને અમુક કેસો હાલ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, ત્યારે તેણે જિલ્લા પોલીસ વડાને પાઠવેલા આવેદનપત્રમાં જયેશ પટેલ અને તેના સાગરિતો કારસ્તાનો ની માહિતી પૂરી પાડવા માટે પોતે તૈયાર છે, અને જયેશ પટેલ ના કેટલાક રાજકીય અગ્રણીઓની પણ મદદ મળી રહી છે તેવા આક્ષેપો કરીને તેની પણ માહિતી જિલ્લા પોલીસ વડાને આપવાની વાત કરી છે.
નવા એસપીની નિમણુંક પછી પોતાને ન્યાય મળે તેવી અપેક્ષા સાથે આજે એસ.પી. કચેરીનો સંપર્ક સાધ્યો છે. જેને લઇને જામનગરના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. નજીકના ભવિષ્યમાં જયેશ પટેલ ના પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા પણ નવાજૂની કરવામાં આવે તેવું ચર્ચાઈ રહ્યું છે.
જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા તાજેતરમાં જુદી જુદી ચાર ઓડિયો ક્લિપ વહેતી કરાઈ હતી, અને જામનગરના સ્થાનિક રાજકીય અગ્રણીઓ વિશે કેટલીક ટિપ્પણીઓ પણ કરી હતી. જેને લઇને જામનગરના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
કુખ્યાત ભૂમાફિયા ને જેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના આઇપીએસ અધિકારી દીપેન ભદ્રન ની જામનગર માં નિમણૂક કર્યા પછી તેઓ જામનગરમાં હાજર થયા છે, ત્યારે જયેશ પટેલ અને તેના સાગરિતોને ખુલ્લા પાડવા માટે અગાઉ પણ લડત ચલાવનાર નિશા ગોંડલિયા ફરીથી મેદાનમાં આવી છે. અને જિલ્લા પોલીસ વડા તેમજ જામનગરના પોલીસ તંત્રને જરૂરી પુરાવાઓ આપવા અને મદદ કરવા માટે રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું છે.