નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો લાવવો હોય તો કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને કોઈ રસ્તો કાઢવો પડશે. તેમણે કહ્યું કે અત્યારે કેન્દ્ર સરકાર અત્યારે જે ટેક્સ વસૂલે છે તેમાંથી મોટો હિસ્સો રાજ્યો પાસે જાય છે.
મીડિયા સાથે વાતચીતમાં એક ખાસ સ્તરમાં નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર જે ટેક્સ વસૂલે છે તેમાં 42 ટકા હિસ્સો રાજ્યો પાસે જતો રહે છે. ઈંધણનો મામલે રાજ્યોના સ્તર પર સારી રીતે ડીલ કરી શકાય છે. તેમણે કહ્યું કે સંઘીય માળખાએ વિચારવું જોઈએ કે કઈ રીતે આ સમસ્યાનો નિપટાઈ શકાય. કેન્દ્ર અને રાજ્યોએ સમજી વિચારીને નિર્ણય લેવો પડશે, આખરે જનતાને રાહત આપવાની છે.
પેટ્રોલ અને ડીઝલને GSTમાં લાવવાના સવાલ પર નિર્મલા સિતારમણે કહ્યું કે અમે GST કાઉન્સિલમાં અમારી વાત મૂકીશું, કાઉન્સિલ કોઈ નિર્ણય લે છે તો અમે તેના પર આગળ વધીશું.
નોંધનીય છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારાના કારણે ઘણા શહેરોમાં ઈંધણની કિંમત 100ને પાર થઈ ગઈ છે. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે અન્ય વસ્તુના ભાવ પણ તેના લીધે વધી રહ્યા છે. રાંધણ ગેસમાં પણ મધ્યમ વર્ગને ફટકો પડી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર પાસે સતત માંગણી કરવામાં આવી રહી છે કે પેટ્રોલ ડીઝલ પર રાહત આપવી જોઈએ. વિપક્ષ પણ આ મુદ્દે સતત સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું છે ત્યારે મોદી સરકારના મંત્રીઑ મોંઘવારી મુદ્દે આડકતરા જવાબો આપી રહ્યા છે.
ક્રિપ્ટો કરન્સીને લઈને નાણામંત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે આ મુદ્દે કેબિનેટ નોટ તૈયાર છે અને તે જલ્દી જ કેબિનેટ પાસે જશે. તેમણે કહ્યું કે અમારું માનવું છે કે રિઝર્વ બેન્કે નક્કી કરવાનું છે કે દેશમાં ડિજિટલ કરેન્સી બને કે નહીં. કેબિનેટ આ મુદ્દે અંતિમ નિર્ણય લેશે.