શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે મફતની રેવડી વહેંચનારા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
દેશમાં હાલ મફતની રેવડીઓ વહેંચવાના મુદ્દા પર રાજકારણ ગરમાયેલુ છે
રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને રિઝવવા માટે મફતની જાહેરાતો
નાણામંત્રી નિર્મલા સીતારમણે મફતની રેવડીઓ પર કહી આ વાત
મત માટે મફતની રેવડીઓ વહેંચવાના મુદ્દા પર શરૂ થયેલુ રાજકારણ નરમ પડવાનું નામ નથી લેતું. શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે મફતની રેવડી વહેંચનારા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, મફતની રેવડીઓ જરૂરથી વહેંચો. પણ પહેલા પોતાના રાજ્યની સરકારના ખજાનાની તપાસ કરો અને તે અનુસાર બજેટીય જોગવાઈની વ્યવસ્થા કરો. ગત દિવસોમાં પ્રધાનમંત્રી મોદીએ કોઈનું પણ નામ લીધા વિના અમુક રાજ્ય સરકારો, ખાસ કરીને દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા મફત રેવડી વહેંચવાના ઉલ્લેખ કર્યો હતો અને દેશ માટે તે ઘાતક હોવાનું કહ્યું હતું.
રાજ્યની નાણાકીય હાલત સમજો
સીતારમણે કહ્યું કે, આ સારુ છે કે, પ્રધાનમંત્રીની ટિપ્પણી બાદ આ મુદ્દા પર ચર્ચા થઈ. બેંગલુરુમાં એક કાર્યક્રમમાં સીતારમણે કહ્યું હતું કે, આપ કંઈ પણ વચન આપી શકો છો. આપ લોકોને કંઈ પણ મફત આપી શકો છો. તે વિજળી હોઈ શકે છે, અન્ય કંઈ પણ. અમે એ નથી કહેતા કે આપ આવું ન કરી શકો. આપ આવું કરી શકો છો, પણ એ નક્કી કરો કે, આપ આપના રાજ્યની નાણાકીય સ્થિતિ પર વિચારો, તેને સમજીને કરો. ચૂંટણી દરમિયાન આપે વચન આપ્યા હોય, આપ જીતી ગયા હોય અને સત્તામાં આવી જાવ, તો એ નક્કી કરો કે, આપે જે વચન આપ્યા છે, તેને પુરા કરો અને તેના માટે બજેટમાં જોગવાઈઓ હોવી જોઈએ.
શિક્ષણ સ્વાસ્થ્યને મફતની રેવડી કોઈ નહીં કહે
સીતારમણે કહ્યું કે, જો એ બતાવવાની કોશિશ થઈ રહી હોય કે, શિક્ષણ અને સ્વાસ્થ્ય હવે મફતની રેવડી બતાવામાં આવી રહી છે, તો આ મુદ્દાથી ધ્યાન ભટકાવવાનું કામ છે. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા બાદ કોઈ પણ સરકાર એ નથી કહી શકતી કે, શિક્ષણ અને સસ્વાસ્થ્ય પર ખર્ચ ન થવો જોઈએ. દરેક સરકાર આ જવાબદારી નિભાવે છએ. આપને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર શિક્ષણ તથા સ્વાસ્થ્યને મફતની રેવડીની શ્રેણીમાં રાખવાનો આરોપ લગાવ્યો હતો.
મફતની રેવડી શું છે અને શું નથી, તે જનતા નક્કી કરે
સીતારમણે આગળ કહ્યું કે, મફતની રેવડી શું છે અને શું નથી, તેના પર તે કંઈ નહીં કહે. આ બધું જનતા નક્કી કરશે. તેમણે કહ્યું કે, મોદી સરકાર જરૂરિયાતમંદોને આશ્રિત નહીં પણ સશક્ત બનાવે છે. તેમણે સરકારની એવી સ્કીમનો ઉલ્લેખ કર્યો, જેની મદદથી જરૂરિયાતમંદોને સસશક્ત બનાવવામાં આવ્યા છે.