દેવામાં ડૂબી ગયેલી યસ બેન્ક અત્યારે તેના ખરાબ સમયમાં છે. RBIએ યસ બેંક પર ઘણા નિયંત્રણો લાદ્યા છે. હવે યસ બેંકના ગ્રાહકો તેમના ખાતામાંથી ફક્ત 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે તેવું RBIએ એક નોટિફિકેશનમાં જાહેર કર્યું છે. આ દરમિયાન નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે યસ બેંક સંકટ અંગે નિવેદન આપ્યું છે.
યસ બેંકના ગ્રાહકો તેમના ખાતામાંથી ફક્ત 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે તેવું RBIએ એક નોટિફિકેશનમાં જાહેર કર્યું છે. જો કે, ઇમરજન્સીની સ્થિતિમાં 5 લાખ સુધીની રકમ આપવામાં આવશે. આવી સ્થિતિમાં યસ બેંકના ખાતા ધારકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
શું કહ્યું સીતારમણે?
યસ બેંકના સંકટ મુદ્દે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ખાતા ધારકોને ખાતરી આપી છે કે સરકાર તેમના નાણાં ડૂબી જવા દેશે નહીં. બેંક ખાતાધારકોના પૈસા સલામત છે. ખાતા ધારકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નાણાં પ્રધાને કહ્યું કે રિઝર્વ બેંકના અધિકારીઓ આ સમસ્યા હલ કરવા માટે સતત કામ કરી રહ્યા છે.
નાણાં પ્રધાને વધુમાં કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. લેવામાં આવેલા બધા પગલાઓ થાપણદારો, બેંક અને અર્થતંત્રના હિતમાં છે. છેલ્લા ઘણા મહિનાઓથી આ ચાલી રહ્યું હતું તેથી એવું નથી કે તે અચાનક આવી ગયું છે. અમે સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. આના નિરાકરણ માટે રિઝર્વ બેન્ક સંપૂર્ણ તાકાત લગાવી રહી છે.
નિર્મલા સીતારમણના કહેવા મુજબ જો કોઈના ઘરે લગ્ન હોય કે મોટો ખર્ચ થાય એમ હોય તો એ બધા માટે કાયદાકીય જોગવાઈઓ છે. રિઝર્વ બેંકના નિયુક્ત અધિકારીઓ આવા જરૂરી ખર્ચ માટે તેમને જે પૈસા આપવાના છે તે આપશે. તેમને આ 50000 રૂપિયાની કેપમાંથી રાહત આપવામાં આવશે.
મુખ્ય આર્થિક સલાહકારે શું કહ્યું?
અગાઉ મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે પણ કહ્યું હતું કે બેંક જમા કરનારાઓના નાણાં સલામત છે અને બેંકના પુનર્ગઠન માટેના તમામ વિકલ્પો પર વિચારણા કરવામાં આવી રહી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સાથેની મુલાકાત બાદ સુબ્રમણ્યમે કહ્યું કે રિઝર્વ બેંકે યોગ્ય પગલા ભર્યા છે. તમામ થાપણદારોના નાણાં સુરક્ષિત છે. તેમણે ખાતરી આપી કે બેંકના ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવામાં આવશે.