નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના દોષિત ફાંસીની સજા ટાળવા માટે સતત તરકટ રચી રહ્યા છે. હવે દોષિત વિનય શર્માએ રાષ્ટ્રપતિની તરફથી દયા અરજી ફગાવી દેવા અંગેની પ્રક્રિયા પર સવાલ ઉઠાવવાની સાથે માનસિક સ્થિતિ ખરાબ હોવાની દલીલ રજૂ કરી ફાંસીથી માંફીની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિની તરફથી દયા અરજી ફગાવી દેવા વિરુદ્ધ દોષિત વિનય શર્માની અરજી પર નિર્ણય શુક્રવાર માટે સુરક્ષિત રાખ્યો છે.
વિનયના વકીલે ફાંસી ટાળવા માટે તરકટ રચતા કહ્યું, વિનય શર્માની માનસિક સ્થિતિ યોગ્ય નથી
વિનય શર્માના વકીલે કહ્યું, માનસિક સ્થિતિ યોગ્ય ન હોવા પર તેને ફાંસીની સજા ન આપી શકાય
વકીલ એપી સિંહે કહ્યું કે આ વિનય શર્માના જીવવાના અધિકાર આર્ટિકલ 21નું હનન છે
નિર્ભયા કેસમાં દોષિત વિનયના વકીલે ફાંસી ટાળવા માટે તરકટ રચતા કહ્યું, વિનય શર્માની માનસિક સ્થિતિ યોગ્ય નથી, માનસિક રૂપે ત્રાસ વેઠવા પર વિનય મેન્ટલ ટ્રોમાથી પસાર થઇ રહ્યો છે તેથી તેને ફાંસીની સજા ન આપી શકાય. એપી સિંહે કહ્યું કે આ વિનય શર્માના જીવવાના અધિકાર આર્ટિકલ 21નું હનન છે.
રાષ્ટ્રપતિની તરફથી દયા અરજી ફગાવી દેવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા વકીલ એપી સિંહે કહ્યું કે હું અન્યાયને રોકવા ઇચ્છું છુ. સત્તાવાર ફાઇલ પર ગૃહ મંત્રી અને એલજીના હસ્તાક્ષર નથી, તેથી હું ફાઇલનું નિરીક્ષણ કરવા ઇચ્છું છુ. મેં તેના માટે આરટીઆઇ દાખલ કરી છે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ બેન્ચને તમામ દસ્તાવેજ આપ્યા અને જણાવ્યું કે દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
વિનય શર્માના વકીલ એપી સિંહે કહ્યું કે પહેલી વાર દેશમાં એવુ હશે કે 4 એવા લોકોને ફાંસી આપવામાં આવશે જે હેબિચુઅલ ગૂનેગાર નથી. તેઓએ કહ્યું કે, મામલામાં દસ્તાવેજ વોટ્સએપથી મંગાવાઇ રહ્યો છે. કેમ અસલી દસ્તાવેજ બતાવવામાં આવી રહ્યા નથી. મારા ક્લાઇન્ટને માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે.
વિનય શર્માના વકીલે કહ્યું કે રાષ્ટ્રપતિ પાસે દયા અરજીઓની લાઇન લાગી છે પરંતુ આ મામલામાં પિક એન્ડ ચૂઝની નીતિ અપનાવવામાં આવી રહી છે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, દોષિત વિનય દયા અરજીની સાથે MHAએ વિનયની કૌટુંબિક સ્થિતિ અને તેના ભાઇ-બહેનની જાણકારી અને તમામ દસ્તાવેજ રાષ્ટ્રપતિ પાસે મોકલી દીધા હતા.
સોલિસિટર જનરલે કહ્યું કે વિનયની દયા અરજી ફગાવી MHAએ કહ્યું હતું કે બહુ જ જઘન્ય ગૂનો છે અને આ રેયર ઓફ ધ રેયરેસ્ટનો મામલો છે. સોલિસિટર જનરલે કહ્યું કે જેલના તમામ કેદીઓનું રુટિન માનસિક ચેકઅપ કરવામાં આવે છે. વિનયની દયા અરજી ફગાવી દેવાના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો.