નિર્ભયાના ગુનેગારોની ફાંસીની સજાના અમલમાં થઈ રહેલા વિલંબને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ફાંસીની સજા પામેલા ગુનેગારોને કાયદાકીય રાહતના અધિકારને લઈને 2014ના શત્રુઘ્ન ચૌગાણ જજમેન્ટમાં આપવામાં આવેલી વ્યવસ્થામાં ફેરફારની માગ કરી છે.
નિર્ભયાના ગુનેગારોને પહેલા 22 જાન્યુઆરીએ આપવાની હતી ફાંસી
હવે 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે અપાશે ફાંસી
ગૃહમંત્રાલયે સર્વોચ્ચ અદાલતને અપીલ કરી છે કે રિવ્યૂ પિટિશન ફગાવવામાં આવ્યા બાદ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા માટે સમયસીમા નક્કી થાય. સરકારે કહ્યું છે કે, ‘જો દોષી દયા અરજી દાખલ કરે છે તો સક્ષમ કૉર્ટ દ્વારા ડેથ વૉરન્ટ જાહેર કરવામાં આવ્યાનાં 7 દિવસની અંદર પ્રક્રિયા થવી જોઇએ.” ગૃહમંત્રાલયે સુપ્રીમ કૉર્ટથી કહ્યું છે કે, ‘તમામ અદાલતો, રાજ્ય સરકારો, જેલ પ્રશાસનને નિર્દેશિત કરવામાં આવ્યું છે કે દયા અરજી ફગાવ્યાનાં 7 દિવસની અંદર ડેથ વૉરન્ટ જાહેર કરી દેવામાં આવે અને ત્યારબાદ 7 દિવસની અંદર ફાંસી આપી દેવામાં આવે, પછી ભલે તેના સાથી દોષીઓની રિવ્યૂ પિટિશન, ક્યૂરેટિવ પિટિશન અને દયા અરજી કોઈપણ તબક્કામાં હોય.”
અરજીના મુખ્ય મુદ્દાઓ
મૃત્યુદંડ પર સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન નામંજૂર થયા બાદ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવાની સમયસીમા નક્કી થાય.
ડેથ વોરંટ જાહેર થયા બાદ દયા અરજી દાખલ કરવા માટે સાત દિવસનો સમય નક્કી થાય.
દયા અરજી નામંજૂર થવાના સાત દિવસની અંદર નવું ડેથ વોરંટ જાહેર કરવામાં આવે.
નવું ડેથ વોરંટ જાહેર થયાના સાત દિવસ બાદ દોષિતને ફાંસી આપવામાં આવે.
કેસ સંબંધિત કોઇ અન્ય દોષિતની રિવ્યૂ/ક્યૂરેટિવ/દયા અરજી પર ચૂકાદો પેન્ડિંગ હોવા પર બાકી દોષિતોની ફાંસી ન રોકવામાં આવે.
દોષીની દયા અરજી બાદ ફાંસીની સજામાં મોડું
સુપ્રીમ કૉર્ટે 20 જાન્યુઆરીનાં નિર્ભયા કેસનાં દોષીની એ અરજીને ફગાવી દીધી હતી જેમાં તેણે એ દાવો કરતા દિલ્હી હાઈકૉર્ટને પડકાર આપ્યો હતો કે તે અપરાધનાં સમયે સગીર હતો. કૉર્ટે કહ્યું હતુ કે તે નવી અરજી દાખલ કરીને કેસને લટકાવવાનો પ્રયત્ન કરી ના શકે.
દિલ્હીની અદાલતે તાજેતરમાં જ આ કેસમાં 4 દોષીઓ વિનય શર્મા, અક્ષય કુમાર સિંહ, મુકેશ કુમાર સિંહ અને પવનની વિરુદ્ધ ડેથ વૉરન્ટ જાહેર કર્યું છે. તેના પ્રમાણે 1 ફેબ્રુઆરીનાં ફાંસી આપવામાં આવશે. પિટિશન પેન્ડિંગ હોવાના કારણે તેમની ફાંસી 22 જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે અને 1 ફેબ્રુઆરીનાં ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી છે.