નિર્ભયા ગેંગ રેપના દોષીઓને ફાંસી આપવાની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ 16 ડિસેમ્બરે આ તમામને ફાંસીના માંચડે લટકાવી દેવાશે. જે જગ્યાએ ફાંસી આપવાની છે ત્યાં સાફ સફાઇનું કામ પણ શરૂ થઇ ચૂકયું છે.
નિર્ભયા ગેંગ રેપ મામલો
16 ડિસેમ્બરે અપાશે તમામને ફાંસી
મેરઠના પવન જલ્લાદને સોંપાઇ જવાબદારી
ઉલ્લેખનીય છે કે એક દોષી વિનય શર્મા તરફથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે દાખલ કરાયેલી દયા અરજીને ગૃહ મંત્રાલયે નામંજૂર કરવાની ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદની ડોકટર દીકરી સાથે ગેંગરેપ કર્યા બાદ તેને સળગાવીને હત્યાનો કેસ સામે આવ્યા બાદ નિર્ભયાના દોષીઓને ફાંસી આપવાની માગણીએ જોર પકડયું હતું. આ ઘટનાના દોષી પવનને મંડોલી જેલથી તિહાર શિફટ કરાયો છે.
દોષીઓએ રાષ્ટ્રપતિ સમક્ષ કરી છે દયાની અરજી
નિર્ભયા ગેંગરેપના કેસમાં છ આરોપીમાં એક જેલમાં જ મૃત્યુ પામ્યો હતો. જ્યારે એક સગીર સજા પૂરી કરીને જેલમાંથી બહાર આવી ચૂકયો છે. બાકી બચેલા ચાર દોષીઓની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. આ કારણે તેની વિરુદ્ધ આગળની કાર્યવાહી કરી શકાઇ નથી. આશા છે કે ગૃહ મંત્રાલયની ભલામણ બાદ રાષ્ટ્રપતિ ખૂબ જ જલદી દયા અરજી પર નિર્ણય લેશે.
મેરઠના પવન જલ્લાદને સોંપાઇ જવાબદારી
જો નિર્ભયાકાંડના ગુનેગારોને ફાંસી થઇ તો એવું માનવામાં આવી રહ્યું છે કે મેરઠના પવન જલ્લાદને જ તેની જવાબદારી સોંપાશે. હજુ સુધી ઓફિશિયલી તેનો સંપર્ક કરાયો નથી, પરંતુ પવન જલ્લાદે પણ નિર્ભયાકાંડના દોષિતોને ફાંસી આપવાની માગણી કરી હતી.
તેણે કહ્યું હતું કે આવા જઘન્યકાંડના આરોપીઓની ફાંસી આપવી જ જોઇએ જેથી બીજા આરોપીઓ તેને જોઇને ડરી જાય અને તેમના મનમાં પણ આવો ગુનો કરતાં પહેલાં ફાંસીનો ડર રહે.
13 ફેબ્રુઆરી 2013ના રોજ અપાઇ છેલ્લીવાર ફાંસી
સુપ્રીમ કોર્ટે 12 ડિસેમ્બર 2018ના રોજ એ જન હિતની અરજીને ફગાવી દીધી હતી જેમાં કેન્દ્ર સરકારે આ કેસના દોષી મૂકેશ, પવન, વિનય અને અક્ષયને મળેલી ફાંસીની સજા પર અમલ કરવાના આદેશ આપવાની માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે તિહાર જેલમાં છેલ્લી વાર ફાંસીની સજા 13 ફેબ્રુઆરી 2013ના રોજ સંસદ પર હુમલાના દોષી અફઝલ ગુરુને અપાઇ હતી.