બહુચર્ચિત પીએનબી કૌભાંડના મુખ્ય ભાગેડુ આરોપી નીરવ મોદીની જામીન અરજી યુકેની કોર્ટે એક વાર ફરી ફગાવી દીધી છે. નીરવે કોર્ટમાં કહ્યું કે જો તેને ભારતને સોંપવામાં આવશે તો તે આત્મહત્યા કરી લેશે. સાથે તેણે એમ પણ કહ્યું કે તેને ત્રણ વખત જેલમાં માર મરાયો હતો, પરંતુ આ બધી દલીલોની કોર્ટ પર કોઇ અસર થઇ નથી અને તેની જામીન અરજી ફગાવી દેવાઇ છે.
૪૯ વર્ષીય નીરવ વેસ્ટ મિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોતાના વકીલ હુગો કીથ ક્યુસી સાથે આવ્યો હતો. જામીન માટે તેની આ પાંચમી અપીલ હતી. નીરવ પંજાબ નેશનલ બેન્ક સાથે જોડાયેલા ૧૩ હજાર કરોડની છેતરપિંડી કેસમાં ભારતને સોંપવા વિરુદ્ધ કેસ લડી રહ્યો છે.
કીથે દાવો કર્યો છે કે નીરવને વેન્ટવર્થ જેલમાં બે વખત માર મરાયો. કીથે કહ્યું કે ગઇ કાલે સવાલે નવ વાગ્યા બાદ જેલમાં બંધ બે અન્ય કેદી તેની બેરેકમાં આવ્યા અને દરવાજો બંધ કરીને તેને મારવા લાગ્યા. તેને લૂંટવાની પણ કોશિશ કરી. નીરવ તે વખતે ફોન પર કોઇની સાથે વાત કરતો હતો. આ હુમલો નીરવને ખાસ રીતે નિશાન બનાવીને કરાયો હતો.
કીથે એમ પણ કહ્યું કે જેલ અધિકારીઓ આ બાબતે કોઇ એક્શન લઇ શક્યા નથી. જો નીરવ મોદીને 'કરોડપતિ હીરા વેપારી' કહેવાશે તો આગળ પણ આ પ્રકારની હુમલા થતા રહેશે. નીરવે કહ્યું કે જો તેને ભારત મોકલવાનો નિર્ણય લેવાશે તો તે ખુદને ખતમ કરી લેશે, કેમ કે તેને ભારતમાં નિષ્પક્ષ ટ્રાયલની આશા નથી.