નિરવ મોદીની લંડનમાં ધરપકડ થઈ છે ત્યારે ભારત સરકારે પણ નિરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી ઝડપી કરી છે. નિરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે રૂપિયા 13 હજાર કરોડનું કૌભાંડ આચર્યુ છે. આ કૌભાંડ આચર્યા બાદ નિરવ મોદી વિદેશ ફરાર થયો હતો. જો કે હવે નિરવ મોદી સામે ભારતનો કેસ મજબૂત હોવાનું સામે આવ્યું છે.
નિરવ મોદી સામે ફ્રોડ અને મની લોન્ડરીંગનો કેસ ચાલી રહ્યો છે. વિજય માલ્યાની સરખામણીમાં નિરવ મોદીના મામલો જલ્દી નિરાકરણ આવે તેવી પણ આશા સેવાઈ રહી છે. વિજય માલ્યા કરતા નિરવ મોદી સામે કેસ વધુ મજબૂત હોવાથી તેને જામીન મળવાની શક્યતાઓ નહીવત નજરે પડી રહી છે.
તપાસ એજન્સીઓનું કહેવું છે કે, માલ્યા પર માત્ર બેંકોને પૈસા ના ચૂકવવાનો મામલો છે. જ્યારે નિરવ મોદી પર કૌભાંડ અને મની લોન્ડરિંગ એમ બે કેસ છે. આ ઉપરાંત તે ભારતીય જેલોમાં અમાનવીય સ્થિતિ હોવાનું બહાનુ પણ કાઢી શકે તેમ નથી. નિરવ મોદી વિરૂદ્ધ સીબીઆઈ અને ઈડી પહેલા જ વિસ્તૃત આરોપ પત્ર દાખલ કરી ચૂકયું છે.
જેમાં ફરજી લેટર ઓફ અંડરટેકિંગ્સ જાહેર કરવાના દસ્તાવેજો પણ છે. આ સિવાય ઈમેલનો પણ સમાવેશ છે. કેવી રીતે નિરવ મોદીએ યૂકે સહિત 15 દેશોમાં મની લોન્ડરિંગ માટે શેલ કંપનીઓનો ઉપયોગ કર્યો અને બેંક ટ્રાન્સફર સંબંધિત પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. યૂકેની ઓથોરિટીઝને પણ આ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા છે. જેથી નિરવ મોદી વિરૂદ્ધ ભારત પાસે મજબૂત કેસ છે. જેના પગલે ભવિષ્યમાં જલ્દી નિરવ મોદીને ભારત લવાશે એવી આશા સેવાઈ રહી છે.