કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસનો પ્રકોપ ફેલાતો જાવો મળી રહ્યો છે. અહીંના કોચ્ચિના એક વિદ્યાર્થી નિપાહ વાયરસની ચપેટમાં આવવાની શંકા હતી, જેનો રિપોર્ટ પુના સ્થિત રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન (એનઆઇવી)માં તપાસ માટે મોકલવામાં આવતા તે પોઝિટિવ આવ્યો છે.
કેરલના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ કોચ્ચિના અર્નાકુલમના વિદ્યાર્થીમાં નિપાહ વાયરસ મળી આવ્યો હોવાની પુષ્ટી કરી છે. સ્વાસ્થ્ય પ્રધાન કે કે શૈલજાએ કહ્યું કે વિદ્યાર્થી જે 86 લોકોના સંપર્કમાં આવ્યો તેની યાદી તૈયાર કરી લેવામાં આવી છે અને તેઓ હાલ તબીબી નિરીક્ષણ હેઠળ છે.
કેરળના સ્વાસ્થય વિભાગે નિપાહ વાયરસને લઇને સાવધાન રહેવાના ઉપાય શરૂ કરી દીધાં છે. શૈલજાના જણાવ્યા અનુસાર કોચ્ચિના કલાસમેરી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કેરળમાં નિપાહ વાયરસનો પ્રકોપ જોવા મળ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે સરકારે ગત વર્ષે પણ કોઝીકોડ અને મલપ્પુરમ જિલ્લામાં નિપાહ વાયરસ સામે સફળતાપૂર્વક જંગ લડી હતી.
દેશમાં ફરી નિપાહ વાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે. કેરળમાં નિપાહ વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. હાલ કેરળમાં 86 લોકોને નિષ્ણાંતોની નજર હેઠળ રખાયા છે. જેમાં 23 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે નિપાહ વાયરસ શું છે તે અંગે તમને જણાવી દઇએ. નિપાહ વાયરસ ઇન્ફેક્શન એ એક એવું ઇન્ફેક્શન છે કે જેના વાયરસ પ્રાણીઓથી માણસ સુધી પ્રસરે છે.
ચામાચીડિયાઓની ટેરોપોડિડાએ પ્રજાતિ આ વાયરસનો મૂળ સ્ત્રોત છે. 1999માં મલેશિયા અને સિંગાપોરના કેટલાક વિસ્તારોમાં ડુક્કરના સંપર્કમાં આવવાથી ડુક્કરપાલકોમાં એન્કેફ્લાઇટિસ એટલે કે, મગજનો સોજો અને રેસ્પિરેટરિ એટલે શ્વાસની બિમારીની ફરીયાદો આવી હતી, ત્યારે પહેલી વખત આ ઇન્ફેક્શન વિશે ખબર પડી હતી.