દેશના અનેક રાજ્યોમાં વરસાદ મહેરની સાથે-સાથે અણધાર્યો કહેર પણ વર્ષાવી રહ્યો છે. જેમાં દેશના 9 રાજ્યોમાં 212 લોકોના મોત થયા છે. ત્યારે ગુજરાતમાં અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 બાળકોના ડૂબી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે. રાજકોટ, બનાસકાંઠા, ખેડા અને જૂનાગઢમાં બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. મહત્વનું છે કે, છેલ્લા બે દિવસમાં 20થી વધુ લોકોના અલગ અલગ દુર્ઘટનાઓમાં મોત થયા હતા.
રાજકોટના રૈયા ગામે પાણીમાં ડૂબી જતા 3 કિશોરના મોત થયા હતા. પાણીમાં ન્હાવા પડેલા 4 કિશોર ખાડામાં ડૂબી ગયા હતા. સ્થાનિકોએ જહેમત ઉઠાવીને એક કિશોરને બચાવી લીધો હતો. યુનિવર્સિટી પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથધરી છે. સવન ફ્લેટ નજીક ખાડા પાસેથી કિશોરોના પગરખા મળી આવ્યા છે.
બનાસકાંઠાઃ મૂર્તિ વિસર્જન કરવા જતાં સાચોરનાં બે સગાભાઈ ડૂબ્યા
બનાસકાંઠા નજીક રાજસ્થાનના શીલુ ગામે દૂર્ઘટના બની હતી. મૂર્તિ વિસર્જન કરવા જતાં સાચોરનાં બે સગાભાઈ ડૂબી ગયાં હતા. નર્મશ્વરઘાટ પાસે દશામાંની મૂર્તિના વિસર્જન કરવા માટે તેઓ પહોચ્યાં હતાં. ઘાટ પર પગ લપસતા બંને ભાઈઓ ડૂબી ગયા હતાં. તેથી તેમનું મોત નિપજ્યુ હતું.
ખેડાઃ શેઢી નદીના પાણીમાં 12 વર્ષના બાળકનું ડૂબી જતા મોત
ખેડાની શેઢી નદીના પાણીમાં 12 વર્ષના બાળકનું ડૂબી જતા મોત થયું હતું. ખીજલપુર ગામનો બાળક નદીના પાણીમાં લપસી ગયો હતો. સ્થાનિકોએ ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. ડાકોર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથધરી હતી.
સણોસરા: તળાવમાં ડૂબી જવાથી બે બાળકોનાં મોત
જૂનાગઢ જિલ્લાના માણાવદર નજીક આવેલ સણોસરા ગામમાં તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બંને બાળકોના મોતને લઇને પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો છે.