તંત્રની કામગીરીથી સ્થાનિકો ત્રાહિમામ ને વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં વરસાદ બંધ થયાના બે જ કલાકમાં પાણી ઓસરી જતા હોવાના તંત્રના દાવાઓ વચ્ચે હજુ સુધી સ્માર્ટ સિટીના નિકોલ વિસ્તારમાં પાણી નથી ઓસર્યા. બીજી તરફ વરસાદી પાણી ન ઓસરતાં વાહન ચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી નિકોલમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં તંત્ર સાવ નિષ્ફળ નિવડેલું જોવા મળી રહ્યું છે.
મહત્વનું છે કે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ત્યારે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં માત્ર સામાન્ય વરસાદમાં જ નદીઓ જેવાં દ્રશ્યો સર્જાયેલા જોવા મળ્યાં છે. જે તંત્રની પોલ ઉઘાડી પાડી દે છે. ત્યારે આવાં જ કંઇક દ્રશ્યો અમદાવાદના નિકોલમાં પણ સર્જાયા છે.
વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ નિકોલમાં પાણી નથી ઓસર્યા
મહત્વનું છે કે અમદાવાદમાં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ ચો-તરફ પાણી ભરાઇ જતા હોય છે. એમાંય નીચાણવાળા વિસ્તારમાં તો લોકોના ઘરોમાં પાણી ફરી વળે છે. ત્યારે અમદાવાદમાં એક-બે દિવસ અગાઉ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના લીધે શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા. પરંતુ વરસાદ બંધ થયાને બે દિવસ થઇ ગયા હોવા છતાં શહેરના નિકોલ વિસ્તારમાં હજુ સુધી પાણી ઉતર્યા નથી.
નિકોલમાં વરસાદ બાદ પણ પાણી યથાવત હાલતમાં જોવા મળી રહ્યું છે. જેના લીધે નિકોલમાં રસ્તા પર તળાવ જેવાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જે AMCના અધિકારીઓની નબળી કામગીરી દેખાડી રહી છે. નિકોલના દ્રશ્યોએ AMCના પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ખોલી નાખી.
તંત્રની કામગીરીથી નિકોલના સ્થાનિકો ત્રાહિમામ
તમને જણાવી દઇએ કે, દર વર્ષે ચોમાસામાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આ જ પ્રકારની હાલત જોવા મળતી હોય છે. દર વર્ષે માત્ર પ્રિ-મોન્સુનની વાતો જ કરવામાં આવતી હોય છે પરંતુ કોઇ પણ પ્રકારની યોગ્ય રીતે કામગીરી કરવામાં નથી આવતી. ત્યારે આ વર્ષે પણ શહેરના નિકોલ વિસ્તારમાં વરસાદ બંધ થઇ ગયા બાદ પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા. વરસાદ બંધ હોવા છતા નિકોલમાં પાણી ભરાઇ રહેતા વિસ્તારની જનતા પરેશાન થઇ ગઇ છે. સાથે વાહનચાલકો પણ ભારે હેરાન થતા જોવા મળી રહ્યાં છે. સોસાયટીઓમાં પણ પાણી ફરી વળતા સ્થાનિકો પણ ભારે હેરાન થઇ રહ્યાં છે. આથી, નિકોલના દ્રશ્યો જોતા કોર્પોરેશનની કામગીરી માત્ર કાગળ પર જ હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. વરસાદ બંધ થયાના એકથી બે કલાકમાં પાણી ઓસરી જવાના તંત્રના દાવા પોકળ સાબિત થઇ રહ્યાં છે. સ્માર્ટ સિટીમાં કોર્પોરેશનના સત્તાધીશોની અણઆવડતના દ્રશ્યો અહીં સ્પષ્ટપણે દેખાઇ જોવા મળી રહ્યાં છે.
કોર્પોરેટર અને તંત્રના પાપે જનતા ક્યાં સુધી મુશ્કેલી સહન કરશે?
જનતા માટેના નગરસેવકો જનતાને મદદ કરવાને બદલે જનતાથી દૂર ભાગી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. આથી અહીં અનેક સવાલ ઉભા થાય છે જેવાં કે, શું નિકોલના કોર્પોરેટર ક્યારે ઘરની બહાર નીકળશે? શું કોર્પોરેટરને પાણી ભરાવાની સમસ્યા નથી દેખાતી? અત્યારે બહાર નહીં નીકળો તો વોટ માંગવા કેવી રીતે જશો? શું AC ઓફિસમાં બેસવા માટે જ લોકોએ વોટ આપ્યા છે? કોર્પોરેટર અને તંત્રના પાપે જનતા ક્યાં સુધી મુશ્કેલી સહન કરશે? દર વર્ષે ચૂંટાયા બાદ કોર્પોરેટર લોકોને કેમ ભૂલી જાય છે? લોકોની સમસ્યાને તમે તમારી સમસ્યા ક્યારે સમજશો? રસ્તામાં તળાવ થવા છતાં કોર્પોરેટરની ઊંઘ કેમ નતી ઉડતી?