દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં એક યુવકની કરપીણ હત્યાની ઘટના બાદ ખળભળાટ મચી ગયો છે.
દિલ્હીની પાસે જ તાલિબાન સ્ટાઈલમાં થયું મર્ડર
યુવકના હાથ પગ કાપીને લટકાવી દીધો
હત્યાનો વીડિયો પણ થયો વાયરલ, આંદોલનમાં સામેલ લોકોએ જ માર્યો હોવાનું કબૂલ્યું
દેશની રાજધાનીમાં કાયદો વ્યવસ્થાની ધજજીયા, આંદોલનકારીઓએ યુવકને મારીને લટકાવ્યો
દિલ્હી હરિયાણાની સિંઘુ બોર્ડર પર શુક્રવારે સવારે એક યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવી હતી. જે જગ્યા પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યાં સામે જ યુવકનો હાથ કાપીને ખૂબ જ મારીને લટકાવી દેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ જ્યારે પોલીસ ત્યાં ડેડ બોડી લેવા પહોંચી તે સમયે પણ હોબાળો થયો હોવાની ઘટના સામે આવી છે, એવામાં હવે આ હત્યામાં એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમા નિહંગ લોકો વ્યક્તિની હત્યાની વાત કબૂલી રહ્યા છે.
હત્યા બાદ વીડિયો થયો વાયરલ, હત્યાની વાત કબૂલી રહ્યા છે કેટલાક તત્વો
વાયરલ વીડિયોમા લોકો કહી રહ્યા છે કે જે માણસ ગુરુગ્રંથ સાહિબનું અપમાન કર્યું તેના હાથ અને પગ કાપીને લટકાવી દેવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં નિહંગો વ્યક્તિનાં હાથ પગ કાપ્યા બાદ વીડિયો બનાવતા દેખાઈ રહ્યા છે. આટલું જ નહીં તેને કહી રહ્યા છે કે તું તડપી તડપીને જ મરીશ. જોકે હવે આ વીડિયોના આધારે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.
દલિત યુવકની હત્યા બાદ વિપક્ષ શાંત કેમ: ભાજપ નેતાઓ
જે યુવકની હત્યા કરવામાં આવી છે તે એક દલિત યુવક છે અને તેનું નામ લખબિર હોવાનું સામે આવ્યું છે જે પંજાબના તરનતારનનો હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારથી જ હત્યાની હૃદય ચીરી નાંખે તેવી તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. પોલીસ આ મામલે અત્યાર સુધી શાંત છે એવામાં ભાજપનું કહેવું છે કે આ તાલિબાન સ્ટાઈલમાં મર્ડર કરવામાં આવ્યું છે.
સોશ્યલ મીડિયામાં ભાજપ સરકાર પર ઉઠી રહ્યા છે સવાલ, કેટલી મોત સુધી ચૂપ બેસશો?
જોકે આ મામલે સરકારની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. જો દેશની રાજધાનીની પાસે જ આ પ્રકારનું આંદોલન ચાલી રહ્યું હોય અને ત્યાં જ કાયદો વ્યવસ્થા ન જળવાય તો સરકાર શું કરી રહી છે અને દિલ્હી પોલીસ રાત્રે પેટ્રોલિંગ કરે છે કે નહીં તેના પર પણ સવાલ ઉઠી રહ્યા છે. દિલ્હી, હરિયાણા અને પંજાબમાં આ ઘટના બાદ ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે અને પોલીસ કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી રહી છે. જોકે આ ઘટના બાદ ઘણા વિપક્ષના તમામ નેતાઓ ભૂગર્ભમાં જતાં રહ્યા છે તેવું પણ ભાજપ નેતાઓ કહી રહ્યા છે. મર્ડરની ઘટના બાદ સોશ્યલ મીડિયામાં લોકો ભાજપ નેતાઓને સવાલ કરી રહ્યા છે કે ભાજપ સરકાર શું માત્ર બોલવા માટે જ છે?