બિહાર સરકારે રાજ્યમાં નાઈટ કર્ફ્યુની જાહેરાત કરી છે. રાજ્યમાં રાતના 9 થી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે.
બિહારમાં રાતના 9 થી સવારના 5 સુધી કર્ફ્યુ
મુખ્યમંત્રી નીતિશ કુમારે કરી નવા પ્રતિબંધોની જાહેરાત
15 મે સુધી સ્કૂલ-કોલેજો બંધ
નીતિશની અપીલ- બહાર રહેતા બિહારના લોકો ઘેર પાછા આવે
મુખ્યમંત્રી નીતિશ કુમારે ક્રાઈસિસ મેનેજમેન્ટ ટીમની સાથે બેઠક કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આ મોટી જાહેરાત કરી હતી. નીતિશ કુમારે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં હોવાને પગલે 15 મે સુધી સ્કૂલ-કોલેજોને બંધ રાખવામાં આવી છે. બિહારની બહાર રહેતા લોકો વહેલી તકે પોતાના રાજ્યમાં પાછા આવી જાય.
નાઈટ કર્ફ્યુમાં શું ખુલ્લું રહેશે, શું બંધ રહેશે
- સ્કુલ, કોલેજ, કોચિંગ સંસ્થાન સહિત તમામ શૈક્ષણિક સંસ્થાનો 15 મે સુધી બંધ રહેશે.
- 15 મે સુધી બિહારમાં કોઈ પણ પરીક્ષા નહીં યોજાય.
- 15 મે સુધી સિનેમા હોલ, સ્ટેડિયમ, જિમ, ઝુ, પ્રવાસન સ્થળ બંધ
- ફક્ત 33 ટકા કર્મચારીઓ ઓફિસમા હાજર રહી શકશે.
- કરિયાણાની દુકાનો, શાકભાજી-ફળ બજાર, માંસ-માછલીની દુકાનો, કાપડની દુકાનો સાંજના 6 સુધી જ ખુલ્લી રાખી શકાશે.
- તમામ ધાર્મિક સ્થળો બંધ રહેશે.
- જાહેર સ્થળોએ કોઈ પણ પ્રકારનું આયોજન નહીં થઈ શકે.
- અંતિમવિધિમાં ફક્ત 25 લોકો જ જઈ શકશે.
- લગ્નમાં વધારેમાં વધારે 100 લોકો હાજર રહી શકશે.
- જરુરી તમામ સેવાઓ ચાલુ રહેશે.
દેશમાં કોરોનાના સંક્રમણનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી રોજ 2 લાખથી વધુ નવા કેસ આવવાની સાથે આજે આ આંક 2.60 લાખ સુધી પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો લગભગ 1500થી વધારે લોકોના મોત થયા છે. દેશમાં 2.60 લાખ નવા કેસના આવતાં જ ગઈકાલના કેસની સરખામણીએ 11. 5 ટાકનો વધારો જોવા મળ્યો છે.
ભારતમાં દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે કોરોના
ગઈકાલે એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 2 લાખ 60 હજાર 533 આવ્યા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી રિકવર દર્દીની સંખ્યા 1 લાખ 38 હજાર 156 પહોંચી છે. તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી 1 હજાર 492 લોકોના મૃત્યુ પણ થયા હોવાનું સામે આવ્યું છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 17 લાખ 93 હજાર 976 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 47 લાખ 82 હજાર 461 થયા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 28 લાખ 5 હજાર થઈ છે.
કોરોનાથી રિકવરી રેટ ઘટ્યો
કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની રિકવરીનો રેટ ઘટીને 87.23 ટકા થયો છે. કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 1,26,71,220 પર પહોંચી ગઈ છે અને મૃત્યુ દર ઘટીને 1.21 ટકા થઈ ગયો છે.