કોરોના મહામારીના કારણે રાતના નવ વાગ્યાથી કરફ્યુ લાદવામાં આવતાં લગ્ન અને રિસેપ્શન ધડાધડ રદ થવા લાગ્યાં છે. આ માસના છેલ્લા શુભ મુહૂર્ત ૩૦ નવેમ્બરે શહેરમાં હજારો લગ્ન અને રિસેપ્શન યોજાયાં છે. મોટા ભાગના પ્રસંગ રદ થવાના કારણે ડેકોરેટર્સ-કેટરર્સ, ફોટોગ્રાફર, બેન્ડ, બગીવાળા, ડીજે અને પાર્ટી પ્લોટના સંચાલકો પર કોરોનારૂપી ગ્રહણ લાગી ગયું છે.
કોરોનાના કારણે લદાયો કર્ફ્યૂ
રાત્રિ કર્ફ્યૂના કારણે લગ્નો થયા કેન્સલ
રિસેપ્શનના પ્લાનને કહેવું પડ્યુ અલવિદા
કોવિડ-19ના કારણે માર્ચ માસમાં અચાનક લોકડાઉન જાહેર કરાયું હતું. આ સમયે માર્ચ-એપ્રિલમાં લેવાયેલાં હજારો લગ્ન-રિસેપ્શન અને શુભ પ્રસંગ રદ રહ્યા હતા.
આ તમામ પ્રસંગ પરિસ્થિતિ થાળે પડી જશે તેવું માનીને લોકોએ નવેમ્બર-ડિસેમ્બરમાં આયોજિત કર્યા, જેના કારણે તથા સરકારે આ પ્રસંગમાં ર૦૦ મહેમાનની છૂટ આપી હોવાના કારણે લોન, પાર્ટી પ્લોટ અને વાડી, હોલ-રિસોર્ટ લોકોએ એડ્વાન્સમાં બુક કરાવી લીધાં હતાં.
દિવાળી બાદ મેરેજ સિઝન ખૂલતાં જ અને કોરોના વાઇરસે ભારે આતંક મચાવતાં ફરી પરિસ્થિતિ બેકાબૂ બની છે, જેના કારણે શહેરમાં રાત્રિ કરફ્યુ લદાતાં ફરી લોકોને એક વાર શુભ પ્રસંગનાં આયોજન રદ કરવાની ફરજ પડી છે. બીજી તરફ વકરતી જતી મહામારીને લઈ લોકો પણ લગ્ન પ્રસંગમાં જતાં ડરી રહ્યા છે.
કેટલાક પરિવાર શહેરથી દૂર ગ્રામ્ય વિસ્તારમાં મર્યાદિત સગાં-વહાલાં સાથે લગ્ન પ્રસંગ માણી રહ્યા છે, પરંતુ મોટા ભાગના રાત્રિના પ્રસંગ કરફ્યુના કારણે રદ થયા છે. કેટલાકે તો પ્રસંગ બપોરે આયોજિત કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તમામ માટે આ શક્યતા ઓછી છે.