મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ફરીવાર વધી રહેલા કેસને કારણે ચિંતા વધી છે ત્યારે આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કર્ફ્યુની લઈને મહત્વની જાહેરાત કરી શકે છે.
મહારાષ્ટ્રમાં કોરોનાએ ચિંતા વધારી
CM ઉદ્ધવ ઠાકરે કર્ફ્યુની લઈને મહત્વની જાહેરાત કરી શકે
પુણેમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત
ઉલ્લેખનીય છે કે, કોરોનાએ ફરીવાર માથું ઊંચકતા ઠાકરે સરકારની ચિંતા વધી છે અને સમગ્ર રાજ્યમાં 12 કલાકનો કર્ફ્યુ લાગુ કરવા મુદ્દે વિચારણ ચાલી રહી છે. રાજ્યના રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વાડેત્તીવારે રવિવારે કહ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં આ મામલે નિર્ણય લઈ શકે છે. એટલું જ નહીં, લગ્નોત્સવમાં 50 થી વધુ લોકો માટે 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવા મુદ્દે વિચારણા કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં ફરી કોરોનાએ ઊંચક્યું માથું
વિજય વાડેત્તીવારે કહ્યું, 'મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે, તમામ જિલ્લા અધિકારીઓને કોરોના સાથે વ્યવહાર કરવા માટે નિયમોનો કડક અમલ કરવા આદેશ અપાયો છે. તેમને કોરોના સાથેના વ્યવહાર માટે તેમના સ્તરે કડક નિયમો લાગુ કરવાની સત્તા પણ આપવામાં આવી છે. '
પુણેમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત
કોરોનાના વધી રહેલા કેસને પગલે પુણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લામાં રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બિનજરૂરી ગતિવિધીઓને મંજૂરી મળશે નહીં. આ સિવાય સ્કૂલ, કોલેજ અને ખાનગી કોચિંગ સંસ્થાનો 28 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
સ્થાનિક વહીવટી તંત્રનું કહેવું છે કે, નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને અન્ય સીનિયર અધિકારીઓની ખાસ બેઠક બાદ આ પ્રકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શનિવારે કોરોનાના 6281 નવા મામલા
આપને જણાવી દઇએ કે, શનિવારે કોરોનાના 6281 નવા મામલા નોંધાયા બાદ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શહેરમાં લોકડાઉન લગાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો લોકડાઉન ફરીવાર લગાવાઇ શકે છે.