કોરોના વાયરસના કારણે દેશમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે ત્યારે યુપીમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.
કોરોના વાયરસના કહેરના કારણે ઉત્તરપ્રદેશ સરકારનો મોટો નિર્ણય
500થી વધારે એક્ટિવ કેસ ધરાવતા જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ
શાળાઓને પણ 30 એપ્રિલ સુધી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા
શાળાઓ બંધ
કોરોના વાયરસના વધતાં કેસને જોતાં યુપીમાં ધોરણ એકથી 12 સુધીની શાળા, અને કોચિંગ સેન્ટરને 30 એપ્રિલ સુધી બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટ કર્યું કે પહેલાથી જે પરીક્ષાઓ નક્કી કરવામાં આવેલી છે તે લેવામાં આવશે અને જરૂરત અનુસાર શિક્ષક અને સ્ટાફને બોલાવવામાં આવે.
નાઈટ કર્ફ્યૂનો લેવાયો નિર્ણય
ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્ય બધા જ એવઆ જિલ્લા જ્યાં 500થી વધારે એક્ટિવ કેસ છે ત્યાં નાઈટ કર્ફ્યૂ કરવામાં આવશે. આ નાઈટ કર્ફ્યૂ 30 એપ્રિલ સુધી લાગુ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસની પરિસ્થતિ મુદ્દે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી હતી જેમાં નાઈટ કર્ફ્યૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલા જ રાજધાની લખનૌ સહિતના ઘણા જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે.
ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર
કોરોના વાયરસના કારણે દેશમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે અને દરરોજ કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કડક લોકડાઉનના ભણકારા થઈ રહ્યા છે ત્યારે દિલ્હીમાં પણ કડક નાઈટ કર્ફ્યૂ કરી દેવામાં આવી છે. યુપીના પણ કેટલાય જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ છે તથા 24 કલાકમાં ભારતમાં દોઢ લાખ કેસ સામે આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસની પહેલી લહેર ચાલી રહી હતી ત્યારે તેની પિક કરતાં પણ વધારે કેસ અત્યારે સામે આવી રહ્યા છે અને કોરોના વાયરસની ચેનને તોડવા માટે રાજ્યોએ કડકાઇ દાખવી પડી રહી છે.
કોરોના વાયરસ કેસ અપડેટ
ભારતમાં આજે કોરોના વાયરસના નવા 1,52,879 કેસ સામે આવ્યા છે જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. કુલ કેસની સંખ્યા વધીને 1,33,58,805 થઈ ગઈ છે જ્યારે અત્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ પહેલી વાર 11 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 839 કેસ સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ બદતર
કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે જ્યાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે અને પરિસ્થિતિ ભયંકર થઈ રહી છે ત્યારે સીએમ ઠાકરેએ પણ કહી દીધું છે કે હવે સંપૂર્ણ લોકડાઉન સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. રાજ્યમાં માનવામાં આવી રહ્યું છે કે એક અથવા બે સપ્તાહનું લોકડાઉન કરવામાં આવી શકે છે. શનિવારે મહારાષ્ટ્રમાં 55,441 કેસ સામે આવ્યા છે.