રાજસ્થાનમાં કોરોના વાયરસના કારણે રાજ્યના આઠ શહેરોમાં નાઈટ કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજસ્થાનમાં કોરોનાનું વધ્યું સંક્રમણ
આઠ શહેરોમાં લાગ્યું નાઈટ કર્ફ્યૂ
પ્રાથમિક શાળાઓ આગામી આદેશ સુધી બંધ
આઠ જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ :
દેશમાં કોરોના વાયરસના વધતાં કેસના કારણે ટેન્શન વધ્યું છે. મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ સહિતના અનેક રાજ્યોમાં ખૂબ તેજીથી કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક બાદ એક રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે હવે આઠ શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. આ આઠ શહેરોમાં રાત્રે 10 વાગ્યે જ માર્કેટ બંધ કરી દેવામાં આવશે અને આ નિર્ણય 22મી માર્ચથી લાગુ કરી દેવામાં આવશે.
કોરોનાનું વધ્યું સંક્રમણ
રાતના 11 વાગ્યે રાજસ્થાનના આઠ શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે. રાતના 11થી સવારના 5 વાગ્યા સુધી આ કર્ફ્યૂ લાગુ રહેશે. જે જિલ્લાઓમાં આ નિણર્ય લાગુ કરવામાં આવ્યો છે તેમાં અજમેર, ભીલવાડા, જયપુર, જોધપુર, કોટા, ઉદયપૂર, સાગવારા અને કુશળગઢનો સમાવેશ થાય છે.
પ્રાથમિક શાળાઓ બંધ
આ સિવાય મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે માર્ચ 25થી રાજસ્થાનમાં જે પણ વ્યક્તિ પ્રવેશ કરશે તેમણે કોરોના વાયરસ ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવી પડશે જે 72 કલાકથી જૂનો હોવો જોઈએ નહીં. પ્રાઇમરી શાળાઓને પણ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે.
દરરોજ નવો રેકૉર્ડ બનાવી રહ્યો છે કોરોના
કોરોનાના કેસમાં ફરી વધારો થઇ રહ્યો છે. રવિવારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43,846 કેસ સામે આવ્યા છે. આ વર્ષના સૌથી મોટા દૈનિક આંકડા છે. આની સાથે જ દેશમાં એક્ટિવ કેસ 3 લાખને પાર પહોંચી ચૂક્યા છે. છેલ્લા 10 દિવસમાં 197 મોતની સાથે મૃતકોની સંખ્યા વધીને 1,59,755 પર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 22,956 લોકો સાજા થવાની સાથે દેશનો રિકવરી રેટ 96.12 ટકા નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ 11,130,288 લોકો દેશભરમાં સાજા થયા છે. ત્યારે, ભારતમાં કોરોના વાયરસના વધતા ખતરાને જોતા કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનના 12 કરોડ ડોઝનો ઓર્ડર આપી દીધો છે.
કોરોના હજુ ખતમ નથી થયોઃ ડો.રણદીપ ગુલેરિયા
કોરોના વાયરસને એઇમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કોરોના હજુ ખતમ નથી થયો. નિયમોનું પાલન કરવું જરૂરી છે. લોકોની બેદરકારી સૌથી મોટું કારણ છે. લોકોને એવું લાગે છે કે, કોરોના હવે ખતમ થઇ ગયો છે. લોકોએ અત્યારે કડક નિયમોનું પાલન કરવું જોઇએ. લોકોએ જરૂર ન હોય તો યાત્રા ન કરવી જોઇએ.
કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકને ડોઝનો આદેશ આપ્યો છે. જણાવી દઇએ કે સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશમાં કોરોના વાયરસે ફરી પગપેસારો કર્યો છે. અધિકારીઓ અને વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે આ વાયરસની એક નવી લહેર હોઇ શકે છે જેને દેશના કેટલાક ભાગોમાં જોઇવામાં આવી રહી છે. 10.2 કરોડ ડોઝમાંથી 1 કરોડ ડોઝ કોવિશિલ્ડના હશે જે સીરમ દ્વારા બનાવવામાં આવશે. બાકીના ભારત બાયોટેક દ્વારા કોવેક્સિનના હશે. જણાવી દઇએ કે ભારતમાં અત્યાર સુધી લોકો વચ્ચે ઉપયોગ માટે માત્ર આ બે રસીને જ મંજુરી આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા
દેશમાં કોરોનાની બીજી લહેરે ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. એક દિવસમાં કોરોનાના 27 હજાર 126 કેસ પોઝિટિવ આવ્યા છે. એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં 92 દર્દીના મૃત્યુ થયા છે. કોરોનાના વધતા કેસને લઇને BMCએ આદેશ કર્યા છે કે, મુંબઇમાં લોકોના રેન્ડમ એન્ટીજન ટેસ્ટ કરાશે. સરકારી ઓફિસ,બજારો અને પર્યટન સ્થળો પર કોરોનાના ટેસ્ટ થશે. બસ સ્ટોપ્સ, ફૂડ સ્ટ્રીટ શોપિંગ મોલ્સ રેલવે સ્ટેશનમાં ટેસ્ટ કરાશે. ટેસ્ટ ફરજિયાત,લોકોની સહમતિ હોવી જરૂરી નહીં. મુંબઇમાં ટેસ્ટનો ઇનકાર કરનારા પર મહામારી કાયદા હેઠળ કાર્યવાહી થશે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 24 લાખ 49 હજારને પાર પહોંચી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક વધીને 53 હજાર 300 પર પહોંચ્યો છે. એક્ટિવ કેસ વધીને 1 લાખ 91 હજાર પર પહોંચ્યા છે. એક દિવસમાં 13 હજાર 588 દર્દી સ્વસ્થ થયા છે.