કુસલ પરેરાની ધમાકેદાર ઈનિંગના કારણે નિદાહાસ T-20 ટૂર્નામેન્ટની પહેલી મેચમાં શ્રીલંકાએ ટીમ ઇન્ડિયાને 5 વિકેટે હાર આપી છે. જીત માટે મળેલા 175 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમે માત્ર 18.3 ઓવરમાં જ 5 વિકેટના નુકસાન પર આ સ્કોર મેળવી લીધો હતો.
શ્રીલંકાની જીતના નાયક રહેલા કુસલ પરેરાએ તાબડતોડ 37 બોલમાં 66 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાએ અંતિમ ઓવર્સમાં કમબેક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ શ્રીલંકન ટીમે પોતાનું ધૈર્ય જાળવી રાખ્યું અને લક્ષ્ય હાસેલ કરી લીધું. આ સાથે જ લંકાઇ ટીમના તિસારા પરેરાએ 22 અને દાસુન શનાકાએ 15 રન બનાવીને નૉટઆઉટ રહ્યા હતા. ટીમ ઇન્ડિયા માટે યુજવેન્દ્ર ચહલ અને વૉંશિગટન સુંદરે 2-2 વિકેટ લીધી જ્યારે જયદેવ ઉનડકટને એક વિકેટ ઝડપી હતી.
કોલંબોના આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં પ્રથમ રમાયેલી ટી20 મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા 4 વિકેટે 174 રનનો સ્કોર બનાવીને શ્રીલંકાને જીત માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઇન્ડિયા તરફથી ઓપનર શિખર ધવને શાનદાર 49 બોલમાં 90 રનની ઈનિંગ રમી હતી. તો મનીષ પાંડેએ પણ 35 બોલમાં 37 અને રિષભ પંતે 23 બોલમાં 23 રન કર્યા હતા.
નિદાહસ ટ્રાઇ- સીરિઝની પહેલી T-20 મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે કેપ્ટન રોહિત શર્મા 0 રને ચમીરાની ઓવરમાં આઉટ થયો હતો. ત્યાર બાદ આવેલા સુરેશ રૈના પણ માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જે બાદ ધવન અને મનિષ પાંડેની મહત્વપૂર્ણ પાર્ટનરશીપે ટીમ ઇન્ડિયાનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો.
શ્રીલંકા તરફથી ચમીરાને 2 વિકેટ મળી હતી. તો નુવાન પ્રદીપ જીવન મેન્ડીસ અને ઘનુશા ગુનાથીલકાને ક્રમશઃ 1-1-1 વિકેટ મળી હતી. હવે પછી ટીમ ઇન્ડિયા આગામી મેચ બાંગ્લાદેશ સાથે રમાવાની છે.