2018ના ભીમા કોરેગાંવ હિંસા સાથે જોડાયેલ બધા કેસોની તપાસ NIAને સોંપવામાં આવી છે. જેને લઇ મહારાષ્ટ્ર સરકારે નારાજગી વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે એક દિવસ પહેલા જ આ કેસમાં થઈ રહેલી તપાસને લઈને પોલીસ સાથે એક રિવ્યૂ મિટિંગ કરી હતી.
NIAને તપાસ સૌંપાતા મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર વચ્ચે ખેંચતાણ
NIAને મામલો સોંપી દેવામાં આવ્યા પછી મહારાષ્ટ્રની સરકાર અને કેન્દ્ર વચ્ચે ખેંચતાણની આશંકા વધી ગઈ છે. તપાસ NIAને સોપાયા પછી ઉદ્ધવ સરકારમાં ગૃહમંત્રી અનિલ દેશમુખે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રએ આમ કરતા પહેલા તેમની સાથે કોઈ પ્રકારની વાતચીત કરી ન હતી. આ પહેલા રિવ્યૂ મિટિંગના કેટલાક કેસ પાછા લેવા અને સમગ્ર મામલાની તપાસ SIT દ્વારા કરાવવા પર ચર્ચા થઈ હતી.
ભીમા-કોરેગાંવ હિંસા મામલાની સમીક્ષા કરવા વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજી મીટિંગ
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ભીમા-કોરેગાંવ હિંસા મામલાની સમીક્ષા કરવા માટે ગુરુવારે સવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ભીમા કોરેગાંવ કેસ મામલે અનિલ દેશમુખે કેન્દ્ર સરકારની નિંદા કરી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે જ્યારે અમે આ મામલાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે કેન્દ્ર સરકારે અમારી સાથે વાત કર્યા વિના આ મામલો એનઆઈએને આપ્યો, હું આ કૃત્યની નિંદા કરું છું.
શરદ પવારે પણ કરી હતી એસઆઈટી તપાસની માંગ
એનસીપીના વડા શરદ પવારે થોડા દિવસો પહેલા રાજ્યના ગૃહ વિભાગને એક પત્ર લખીને એસઆઈટીને આ મામલાની તપાસ કરવાની માંગ કરી હતી. આ કેસની તપાસ કરનારા પોલીસ અધિકારીઓ સામે પણ તપાસની માંગ કરી હતી. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એલ્ગર પરિષદ કેસમાં કામદારોની ધરપકડ ખોટી હતી. આ કેસમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
શું છે ભીમા કોરેગાંવ મામલો?
એક જાન્યુઆરી 2018એ ભીમા કોરેગાંવમાં જાતિવાદી હિંસા ભડકી હતી.
ભીમા કોરેગાંવમાં 200 વર્ષ પહેલાં પેશ્વાઓ સામે દલિતોની જીત થઈ હતી.
આ જીતની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન તોફાનો ફાટી નીકળ્યા હતા.
આ મામલામાં પોલીસે અનેક લોકોની ધરપકડ કરી હતી.
સુરેન્દ્ર, ગાડલિંગ, સુધીર ધાવલે, મહેશ રાઉતને આરોપી બનાવ્યા હતા.