NIA News: દિલ્હીથી યુપી અને પંજાબથી રાજસ્થાન સુધી 122 સ્થળોએ એકસામટા દરોડા પાડવામાં આવતાં ગેંગસ્ટર અને ટેરર નેટવર્કમાં ખળભળાટ
દેશમાં ગેંગસ્ટર-ખાલિસ્તાની ટેરર નેટવર્ક પર NIAનો પ્રહાર
NIAએ દ્વારા એકસાથે 122 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા
લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી બ્રાર સહિત ડઝનબંધ ગેંગસ્ટરના સાગરિતો નિશાન પર
દેશમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગેંગસ્ટર અને ખાલિસ્તાની ટેરર નેટવર્ક પર ફરી એક વાર મોટી કાર્યવાહી શરૂ કરી છે. NIA દ્વારા આજે દિલ્હીથી યુપી અને પંજાબથી રાજસ્થાન સુધી 122 સ્થળોએ એકસામટા દરોડા પાડવામાં આવતાં ગેંગસ્ટર અને ટેરર નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે. NIA દ્વારા આ દરોડા લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર, નીરજ બવાના સહિત ડઝનબંધ ગેંગસ્ટરના ભારત સ્થિત સાગરિતો પર પાડવામાં આવ્યા છે.
NIA દ્વારા દિલ્હી-એનસીઆર સહિત હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ સહિત છ રાજ્યમાં 122 સ્થળોએ સાગમટે દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ટેરર નેટવર્ક, ડ્રગ્સના તસ્કરો અને ગેંગસ્ટર્સની સાંઠગાંઠના મામલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NIAએ દિલ્હી-એનસીઆરમાં 32 સ્થળોએ, પંજાબ અને ચંડીગઢમાં 65 સ્થળોએ, રાજસ્થાનમાં 18 સ્થળોએ, મધ્યપ્રદેશમાં 2 સ્થળોએ અને ઉત્તરપ્રદેશમાં 3થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે.
ખાસ કરીને NIA ગેંગસ્ટર્સ અને ખાલિસ્તાની નેટવર્ક સામે દાખલ કરાયેલા પાંચ કેસમાં પણ દરોડાની કાર્યવાહી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશોમાં બેઠેલા ગેંગસ્ટર્સ ભારતમાં મોટાપાયે ટેરર ફંડિંગ કરીને આતંક ફેલાવવાની ફિરાકમાં છે. તાજેતરમાં NIAએ 14 દેશોના 28 ગેંગસ્ટરની એક યાદી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સુપરત કરી હતી અને ત્યારબાદ NIAએ વિદેશોમાં બેઠેલા ગેંગસ્ટર્સના ભારતીય નેટવર્ક પર સપાટો બોલાવી દીધો છે.
અહેવાલો પ્રમાણે, આગામી દિવસોમાં NIA અન્ય ગેંગસ્ટર પર પણ મોટી કાર્યવાહી કરવાની છે. ખાસ કરીને સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો એજન્સીના નિશાન પર છે. NIA દ્વારા જે 26 ગેંગસ્ટર્સની યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં ગોલ્ડી બ્રાર, અનમોલ બિશ્નોઈ, કુલદીપસિંહ, જગજિતસિંહ, ધર્મન કહલોન, રોહિત ગોદારા, ગુરવિન્દરસિંહ, સચીન થાપન, સતવીરસિંહ, સનવર ધિલ્લોન, રાજેશકુમાર, ગુરપ્રિન્દરસિંહ, અમૃતબાલ, સુખદુલસિંહ, લખબીરસિંહ, અર્શદીપસિંહ, ચરનજિતસિંહ, રામદીપસિંહ, ગૌરવ પતિયાલ, સુપ્રિપસિંહનો સમાવેશ થાય છે.
સત્યપાલ મલિકના મીડિયા સલાહકારના નિવાસે CBIના દરોડા
જમ્મુ-કાશ્મીરના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકના સહયોગીઓના સ્થળોએ સીબીઆઈએ આજે દરોડાની કાર્યાવાહી શરૂ કરી છે. સીબીઆઈ આ કાર્યવાહી ઈન્શ્યોરન્સ કૌભાંડની તપાસમાં કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્યપાલ મલિકના સહયોગીઓના દિલ્હી અને જમ્મુ-કાશ્મીર સહિત નવ સ્થળોએ હાલ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ખાસ કરીને મલિક જ્યારે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમના મીડિયા સલાહકાર રહી ચૂકેલા સુનક બાલીને ત્યાં આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.