હાલ દેશભરમાં ચાલી રહેલી દેશવિરોધી ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે આજે અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં NIA અને ATSની ટીમે ધામા નાખ્યા છે.
NIA અને ATSની ટીમના ગુજરાતમાં ધામા
ગુજરાત સહિત 6 રાજ્યોમાં NIAનું સર્ચ ઓપરેશન
15મી ઓગસ્ટ પહેલા સુરક્ષા એજન્સીઓની તપાસ
NIA અને ATSની ટીમ દ્વારા ગુજરાત સહિત દેશના 6 રાજ્યોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 15મી ઓગસ્ટ પહેલા સુરક્ષા એજન્સીઓએ ISIS મોડ્યુલને લઇને તપાસ હાથ ધરી છે. જેમાં ભરૂચ સહિત અમદાવાદ, સુરત અને નવસારીમાં આ ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે આ મામલે શંકાસ્પદ લોકોની અટકાયત હાથ ધરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આથી, NIA અને ATSની કાર્યવાહીને લઇને ચારેય શહેરોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
2021માં ઝડપાયેલા આતંકીઓનું કનેક્શન છેક ગુજરાત સુધી!
કર્ણાટકમાંથી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે. 2021માં ઝડપાયેલા આતંકીઓનું કનેક્શન ગુજરાત સુધી પહોચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેનું અમદાવાદ , સુરત અને ભરૂચમાંથી ફંડિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આથી, 15 ઓગસ્ટ પહેલાં આતંકી ષડયંત્રને લઈને હાલમાં એજન્સીઓની તપાસ તેજ ચાલી રહી છે. જો કે, આ સર્ચ ઓપરેશનમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ઝલિલ નામના યુવકની અટકાયત કર્યાની ચર્ચા
એવામાં હાલમાં NIA અને ATSની ટીમે સુરતના સૈયદપુરા વિસ્તારમાં તપાસ હાથ ધરી. જેમાં ઝલિલ નામના યુવકની પૂછપરછ માટે અટકાયત કર્યાની ચર્ચા ચાલી રહી છે. આ યુવક શહેરના સૈયદપુરા વિસ્તારના મહંમદ પેલેસના બીજા માળે રહેતો હતો. કર્ણાટક અને તામિલનાડુના આરોપીની પૂછપરછમાં સુરતનું કનેક્શન સામે આવ્યું છે. અટકાયત કરેલા વ્યક્તિનું અલ બદર આતંકી જૂથ સાથે કનેક્શન હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ઝલિલના ઘરેથી દસ્તાવેજ અને 3 બેગ જપ્ત કરવામાં આવી છે. હાલમાં આ દસ્તાવેજ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યારે ઝલિલને સુરત SOG ઓફિસમાં રાખવામાં આવ્યો છે.
ભરૂચના આમોદ અને કંથારીયામાં રહેતા પિતા-પુત્રની પૂછપરછ હાથ ધરાઇ
ISISના મોડ્યુલને લઈને NIA-ATSની ટીમ દ્વારા રાજ્યમાં અમદાવાદ, સુરત અને ભરૂચમાં તપાસ ચાલી રહી છે. સુરત અને ભરૂચમાં NIA-ATSની ટીમે ધામા નાખતા 2 વ્યકિતઓની પૂછપરછ હાથ ધરાઈ છે. ભરૂચના આમોદ અને કંથારીયામાં રહેતા પિતા-પુત્રની પૂછપરછ હાથ ધરાઇ છે. આમોદના મૌલાના અમીન અને તેના પિતાની પૂછપરછ હાથ ધરવામાં આવી. ઇન્ટરનેશનલ કોલ ટ્રેસિંગના આધારે એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ રહી છે. એજન્સીને હૈદરાબાદમાં દેશ-વિરોધી ગતિવિધિઓની માહિતી મળી હતી. તપાસ દરમિયાન હિન્ટ મળતા એજન્સીઓએ ભરૂચમાં ધામા નાખ્યા છે. કેટલાંક ઉર્દુ સાહિત્યની પણ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પૂછપરછ થઈ રહી હોવાની ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદના કોટ વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન
બીજી બાજુ અમદાવાદના કોટ વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. શંકાસ્પદ શખ્સોને લઈને એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ રહી છે. કારણ કે, કર્ણાટક અને તામિલનાડુમાં પકડાયેલ આરોપીની પૂછપરછમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે.
નવસારીના દાભેલ ગામે પણ NIAની ટીમના દરોડા
આ સાથે નવસારીમાં પણ NIA દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં NIAએ એક શંકાસ્પદની અટકાયત કરી છે. નવસારીના દાભેલ ગામે NIAની ટીમે દરોડા પાડ્યા છે. રાજ્યમાં હુલ કુલ 4 જગ્યાએ NIAની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે. ISISના મોડ્યુલને લઈને અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં NIAની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે.