અદાણી ગ્રૂપના ડ્રીમ પ્રોજેક્ટ સમી કોપર રિફાઇનરી પ્રોજેક્ટને એક મોટો ફટકો પડ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે NGTની દિલ્લી સ્થિત પ્રિન્સિપલ બેન્ચે આ મામલે અદાણી ગ્રૂપને નોટિસ ફટકારીને જવાબ માંગ્યા છે. આ નોટિસ પ્રોજેક્ટને તાજેતરમાં જ મળેલી પર્યાવરણીય મંજૂરીને લઈને ચાલતી સુનાવણીના બાબતે છે.
મે 2020ના એન્વાયર્ન્મેન્ટલ ક્લીયરન્સ બાબતે થઈ છે અરજી
અદાણી ગ્રુપ કચ્છના મુન્દ્રામાં ખાસ્સું એક્ટિવ છે, તેના વિવિધ સાહસો થકી મુન્દ્રામાં અદાણી ગ્રુપ દ્વારા ખાસ્સું રોકાણ પણ કરવામાં આવ્યું છે. મુંદ્રામાં અદાણી ગ્રુપ હસ્તકનું બંદર પણ છે, જો કે તેનાથી ત્યાના પર્યાવરણ અને ઇકોલોજીને ખાસ્સું નુકસાન પહોંચી રહ્યું છે તેવી ઘણી ફરિયાદો અગાઉમાં પણ ઉઠવા પામી હતી, ત્યારે આજે પર્યાવરણ નુકસાન મુદ્દે જ NGT દ્વારા અદાણી ગ્રુપને નોટિસ ફટકારાઇ છે.
શું કહ્યું છે ઓર્ડરમાં?
આ ઓર્ડર NGTની દિલ્લી ખાતેની બેન્ચ દ્વારા કરવાંમાં આવ્યો છે, તેમાં અરજદાર દ્વારા આરોપ લગાવાયો છે કે આ પ્રોજેક્ટને જે મંજૂરી અપાઈ છે તે યોગ્ય નથી કેમ કે તેના માટે જરૂરી જે EIA રિપોર્ટ કરવાંમાં આવ્યો છે તે પરિપૂર્ણ નથી અને આ માટે જરૂરી Cumulative impact assessment નામનો રિપોર્ટ કરાયો જ નથી, એ સિવાય આ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં 2 કિમીની ત્રિજ્યામાં 2 થર્મલ પાવર પ્લાન્ટ્સ હોવાથી ધાતુકીય ઉદ્યોગ માટેની માર્ગદર્શિકા મુજબ આ મંજૂરી મળી શકે એમ નથી.
સાથે અરજકર્તાએ એમ પણ દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટથી માછીમારી સમુદાય, ખેડૂત કમ્યુનિટી, મરીન ઇકોલોજી, ધનેશ્વરી નદી, તે વિસ્તારના મેન્ગ્રૂવ્સ અને એર ક્વોલીટી વગેરે મામલે યોગ્ય માપદંડો સાથે સ્ટડી કરાયેલ નથી, તેથી આ મંજૂરી પર કાર્યવાહી થવી જોઈએ.
શું છે મામલો?
મુન્દ્રામાં તાજેતરમાં જ અદાણી ગ્રુપને મે માસમાં સૂચિત ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનરીના પ્રોજેક્ટ માટેની પર્યાવરણીય મંજૂરી એટલે કે Environmental clearance મળી હતી, જે બાદ નવી રિફાઇનરી બનાવવાનો માર્ગ મોકળો થયો હતો. જો કે ખેતી વિકાસ સેવા ટ્રસ્ટ નામની અરજદાર સંસ્થા દ્વારા આ મંજૂરી સામે અરજી કરવામાં આવી હતી, જેને લઈને NGTએ અદાણી ગ્રુપને નોટિસ ફટકારી છે.
શું કહ્યું પ્રિન્સિપલ બેન્ચે?
પ્રિન્સિપલ બેન્ચે આ મામલે ફરિયાદીને અદાણી ગ્રુપને સીધા જ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા અને મેલ આઈડી ઉપર લાગૂ પડતાં ડોક્યુમેન્ટ્સ મોકલવા કહ્યું છે અને અદાણી ગ્રુપને નોટિસ આ મામલે કાઉન્ટર અપીલ દાખલ કરવા અથવા તેના જવાબ વાળ ડોક્યુમેન્ટ્સ સીધા મેલ પર 6 અઠવાડિયાની અંદર મોકલવાનો નિર્દેશ કર્યો છે.
નોંધનીય છે કે મુંદ્રા માં ટાટા અને અદાણી પાવરના થર્મલ પાવર પ્લાન્ટ છે જેને લઈને મરીન ઇકોલોજી પ્રભવિત થવાના આરોપો લગતા રહ્યા છે. અદાણી ગ્રુપ પર અગાઉ પણ મેનગૃવસને પ્રભાવિત કરવાના આરોપો લાગ્યા હતા.