ગુજરાતમાં વર્તમાનમાં જમીનને વિવાદોમાં ચાલી રહેલી આર્સેલરમિત્તલ કંપની હવે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર રમત કરતી ઝડપાઇ છે.
પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને કંપનીના કચરાથી ગંભીર નુકસાન
NGTની પૂણે બ્રાન્ચે આર્સેલરમિત્તલને ફટકારી નોટિસ
વન જમીન પર દબાણ કરવાને લઈને પહેલેથી વિવાદોમાં છે આ કંપની
NGTએ શરૂ કરી કાર્યવાહી
સુરતના હજીરામાં CRZમાં આવતી જમીન પર અત્યંત જોખમી કચરો સ્લેગ દ્વારા પર્યાવરણને ગંભીર નુક્સાન કરવા બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)ની પૂણે બ્રાંચે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ (એએમએનએસ) અને અન્યોને નોટિસ ફટકારી છે. આ કેસની વધુ સુનાવણી 4 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.
લોકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન
NGTએ કંપનીઓને નોટિસ ફટકારતા હવે જીપીસીબીએ તપાસ હાથ ધરી હતી અને અહેવાલ સુપરત કરી દેવામાં આવ્યો છે. આ તપાસ રિપોર્ટમાં આર્સેલરની મેટલ ડસ્ટ ઉડતી હોવાની ગામવાસીઓની ફરિયાદ સહિતની અન્ય ગંભીર ક્ષતિઓ સામે આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
કંપનીએ સી.એફ.એસ. પણ નથી લીધું
માહિતી અનુસાર હજીરામાં સર્વે નંબર 434 પૈકી 1-એ વાળી જમીન પર આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપની દ્વારા મોટા પ્રમાણમાં જોખમી ઔધોગિક કચરાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો. નોંધનીય છે કે હજીરા ફ્રેટ કન્ટેનર કંપનીએ 25 હેક્ટર જમીન પર કન્ટેનર યાર્ડ અને પોર્ટ બેકઅપ સુવિધાઓ માટે ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનના નકશા પ્રમાણે સીઆરઝેડનું ક્લિયરન્સ લેવાનું થાય છે. પરંતુ કંપનીએ સી.એફ.એસ. લીધું નથી.
નેશનલ હાઇવેની લગોલગ જ કચરો નાખવાનું કાવતરું
તેમજ આ વિસ્તારમાં કંપની જોખમી કચરો જેવો કે ચૂનો, સ્લેગ, કોરેક્સ પ્લાન્ટનો હેવી મેટલ, બેરિંગ વેસ્ટ સહિતનો ઝેરી કચરો ઠાલવતાં પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. આ કચરો નાંખી નેશનલ હાઈવેની લગોલગ પુરાણ કરી દેવામાં આવે છે. પર્યાવરણને નુકસાન પહોંચવા સાથે આસપાસના ગ્રામજનોના સ્વાસ્થ્યને પણ ખૂબ જ ખરાબ અસર પડી રહી છે જે બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં પર્યાવરણ એક્ટિવિસ્ટ રોશની પટેલે ફરિયાદ કરી દંડ ફટકારવા માંગણી કરી હતી.
જમીન ફાળવણીને લઈ પણ વિવાદોમાં કંપની
પર્યાવરણને ગંભીર નુકસાન થતાં NGTએ આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપનીને નોટિસ ફટકારી હતી. આ સાથે જ GPCBને પણ નોટિસ ફટકારી હતી. નોંધનીય છે કે એએમએનએસ કંપની તાજેતરમાં જમીન ફાળવણીને લઈ પણ વિવાદોમાં ચાલી રહી છે અને હવે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય ચેડાં કરતાં રંગે હાથે ઝડપાઇ છે.
વનવિભાગની જમીનો પર પણ વિવાદ
35000 કરોડના વિસ્તરણની યોજના બતાવીને આ કંપની હયાત જમીનો પાણીના ભાવે રેગ્યુલરાઇઝ કરાવવા માગે છે અને નવી જમીન પણ જૂના ભાવે માગવા રાજ્ય સરકાર પર દબાણ વધારી રહી છે. 72 હેક્ટર્સ મહેસૂલી જમીન નિયમિત કરવામાં આવે તો રાજ્ય સરકારની તિજોરીને 5000 કરોડ રૂ.નું નુક્સાન થાય એમ છે. આ તો માત્ર મહેસૂલી જમીન પણ વન વિભાગને આશરે 86 હેક્ટર જમીન તો અલગ. અને વનવિભાગની જમીનો પર દબાણ કરી હોવાથી કંપનીએ કાયદા મુજબ બેવડી જમીન વનીકરણ કરીને આપવાની હોય છે પણ એય હજી આપી નથી.