વડોદરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વડોદરામાં વરસાદે 14 વર્ષનો રેકૉર્ડ તોડતા 14 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે આગામી પાંચ દિવસમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 4 ઓગસ્ટે વધુ એક સિસ્ટમ બનશે. ત્યારે ભારે વરસાદની આગાહીને લઇ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. તો પાટણ, મહેસાણા, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે નર્મદા, દમણ, દાદરા હવેલી, નવસારી, વલસાડમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. તો ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.
ત્યારે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં થયેલ વરસાદ અને ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સ્ટેટ કંટ્રોલ ઓફિસ ખાતે ઇમરજન્સી સેવાઓને લઇને બેઠક બોલાવી હતી. જ્યારે ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેને લઇને હેલ્પલાઇન નંબર 1800-233 0265, 0265-2423101 અને 0265-2426101 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબરો પર ફોન કરવાની સહાયતા માંગી શકાય છે.
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીઃ સીએમ રૂપાણી
CM રૂપાણીએ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સીએમ રૂપાણીએ કહ્યું કે, આગામી દિવસોમાં વરસાદની આગાહી નથી છતા પણ એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. એરફોર્સની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસની ભારે વરસાદની આગાહી છે.
મુંબઇમાં 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી
મહારાષ્ટ્રના મુંબઈમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો મુંબઈમાં આગમી 48 કલાક ભારે છે. તો પૂણે અને થાણેમાં વરસાદે 118 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મુંબઈકરોને હજુ પણ વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
NDRFની ટીમ સ્ટેન્ડ બાય
વડોદરામાં ભારે વરસાદની સ્થિતીની ધ્યાનેમાં લઇ તંત્ર અલર્ટ થયું છે. સમીક્ષા માટે પ્રભારી સચિવ લોચન સહેરા ગાંધીનગરથી રવાના થયા છે. 3 સ્થાનિક NDRFની ટીમને અલર્ટ કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગરથી NDRFની એક ટીમ રવાના કરવામાં આવી છે. તો NDRFની 2 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરંત સેનાના જવાનોને અલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે અને અમદાવાદ મનપા અને અને સુરત મનપાની ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી છે.
રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદ છે. વડોદરા-અમદાવાદ સહિત રાજ્યની અનેક જગ્યાએ ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં બે IAS અધિકારી વિનોદ રાવ અને લોચન સહેરાને સ્થાનિક તંત્રને માર્ગદર્શન આપવાનું સુચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા સુચના આપવામાં આવી છે.
કેટલીક ટ્રેન રદ, કેટલીક ડાયવર્ટ કરાઇ
પોરબંદર-મુંબઇ વચ્ચે ટ્રેન રદ
અમદાવાદ, વડોદરા અને સુરતમાં વરસાદને લઇને પોરબંદર-મુંબઇ વચ્ચે ટ્રેન રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરવાસના વરસાદને કારણે સૌરાષ્ટ્ર-એક્સપ્રેસ ટ્રેન રદ કરાઇ છે. ટ્રેન રદ થતા મુસાફરો અટવાયા છે. જ્યારે સુરતથી વડોદરા-અમદાવાદ ટ્રેન રવાના કરવામાં આવી નથી. સુરતથી અમદાવાદ-વડોદરા તરફ જતી આવતી 20 જેટલી ટ્રેનોને અસર છે.
ભાવનગર રેલવે ડિવિઝનની ટ્રેનનો રૂટ બદલાયો
વડોદરામાં ભારે વરસાદને પગલે ભાવનગર રેલવે ડિવિઝનની ટ્રેનોનો રૂટ બદલાયો. વડોદરા થઈને જતી ટ્રેનોનો રૂટ બદલાયો છે. આણંદ, ડાકોર અને ગોધરા થઈને ટ્રેન જશે. ગુજરાત શાંતિ એક્સપ્રેસ અને ઇન્દોર શાંતિ એક્સપ્રેસના રૂટ બદલાયા. તો સોમનાથ જબલપુર એક્સપ્રેસ અને પટના અમદાવાદ ટ્રેનનો પણ રૂટ બદલાયો.
સૌરાષ્ટ્ર મેઈલ ટ્રેન રાજકોટ પરત કરાઇ
સુરેન્દ્રનગરમાં વરસાદના પગલે રેલ્વે વ્યવહાર ખોરવાયો. સુરેન્દ્રનગર જંકશન પરથી સૌરાષ્ટ્ર મેઈલ ટ્રેન રાજકોટ પરત કરાઈ છે. તો રાજકોટ-દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરેન્દ્રનગર જંકશન ખાતે રોકી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે અનેક ટ્રેનોની અવર જવર પર અસર પડી છે. જો કે તમામ મુસાફરોને ટિકિટની રકમ પરત આપવામાં આવી છે.
વડોદરા-ભરૂચ શાળા-કોલેજોમાં રજા જાહેર
વડોદરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. વિશ્વામિત્રી ભયજનક સપાટીની નજીક વહેતી થઇ છે. 18 ઈંચ વરસાદ પડતા શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કલેક્ટર રવીકુમાર અરોરાએ આદેશ આપ્યા છે. જેમાં ભારે વરસાદના પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. ભરૂચની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. તેમજ તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કરાયો છે.