લખનઉઃ ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં લોકમાન્ય તિલક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. ટ્રેન ઉન્નાવથી લખનઉ તરફ જઇ રહી હતી. ટ્રેન દુર્ઘટના બાદ રાહત-બચાવ કામગીરી શરૂ દેવામાં આવી છે.
એટીએસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને તમામ દુર્ઘટના પાછળના કારણની તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બાદ કેટલાક મુસાફરો જીવ બચાવવા ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. જેમાં કેટલાક મુસાફરોને સામાન્ય ઇજા થઇ હતી.
ઉન્નાવની SP નેહા પાંડેએ જણાવ્યું હતું કે રવિવારે બપોરે લગભગ 2 વાગ્યે મુંબઇથી લખનઉ જઇ રહેલી લોકમાન્ય તિલક એક્સપ્રેસના ડબ્બાઓ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પરથી ઉતરી ગયા હતા. સ્ટેશન હોવાના કારણે ટ્રેનની સ્પીડ પણ ધીમી હતી જેને કારણે મોટી દુર્ઘટના થતી ટળી ગઇ હતી. લખનઉ જનારા યાત્રીઓ માટે બસોની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે.