ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગોરખપુરમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધ્યા. જ્યાં તેમણે સાફ શબ્દોમાં કહીં દીધું કે ગુંડા બદમાશો ઉત્તરપ્રદેશ છોડીને ચાલ્યા જાય નહીં તો તેમના માટે બે જ જગ્યાઓ છે. જ્યાં કોઈ જવા નથી ઈચ્છતું. સાથે જ યોગી આદિત્યનાથે એ પણ કહ્યું કે તેમની સરકારમાં 18થી 20 કલાક કામ કરી શકે તેવા જ માણસોની જરૂર છે બીજા બધા પોતાનો રસ્તો પકડી લે. તો બીજીતરફ તેમણે પોતાની મળેલી જીતને વધાવી લેતા કહ્યું કે ગોરખપુરમાં લક્ષ્ય તો 40 બેઠકોનું અપાયું હતું પણ 46 બેઠકો લઈને આવ્યા અને હવે જીત બાદ જવાબદારી વધી ગઈ છે. આદિત્યનાથે ફક્ત બે જ માસમાં ઉત્તરપ્રદેશને બદલવાનો દાવો કર્યો છે.
ઉત્તરપ્રદેશમાં જે રીતે યોગી સરકારે ધમાકેદાર એન્ટ્રી કરી છે. તે જ રીતે લોકોની અપેક્ષાઓ પણ હવે વધી ગઈ છે અને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે યોગી આદિત્યનાથે હુંકાર કર્યો છે. યોગી આદિત્યનાથે પોતાની કર્મભૂમિ ગોરખપુરમાં કર્યો કર્મનિષ્ઠ હુંકાર. જે રીતે PM મોદી પોતાના કામને જ પ્રાધાન્ય આપે છે તે જ રીતે યોગી આદિત્યનાથ પણ પોતે કર્મનિષ્ઠ હોવાનો દાવો કરી રહ્યા છે. આદિત્યનાથ ગોરખપુરમાં કાર્યકરોને સંબોધન કરી રહ્યા હતાં તે દરમિયાન તેઓ કેટલા કર્મનિષ્ઠ છે તે વાતનું ઉદાહરણ આપતા કહ્યું કે ગોરખપુરમાં જીત માટે ફક્ત 40 બેઠકોનું લક્ષ્ય અપાયું હતું પણ તેઓ 46 બેઠકો લઈને આવ્યા.
યોગી આદિત્યનાથે હુંકાર કરતા એમ પણ કહ્યું કે સરકાર કોઇને ભૂખ્યા નહીં સુવા દે. પુરા પ્રદેશમાં વીજળી મળશે. પ્રદેશને લૂંટનારાઓની છુટ્ટી કરાશે. કામની ગુણવત્તા પર ભાર મુકાશે. કયાંય ગડબડ થાય તો સીધી મને જ જાણ કરો. ગમે તે થાય પણ માત્ર કામ જ કરવું છે. 2 વર્ષ સુધી ઉનાળો અને શિયાળો ભૂલી જવો છે. ઉત્તરપ્રદેશમાં શાંતિની સ્થાપના કરીશું. વચનો આપ્યા છે તે જવાબદારી જરૂર નિભાવીશું.
તો હવે મહત્વનું એ છે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનતાની સાથે જ યોગી આદિત્યનાથ એક્શનમાં આવી ગયા છે અને દરેક વિભાગોમાં જરૂરી સૂચનાઓ તેમજ આદેશો આપી દીધા છે. યોગીએ દાવો કર્યો છે કે ઉત્તરપ્રદેશમાં વિકાસનું કામ આગામી બે માસમાં જ જોવા મળશે. ત્યારે જોવાનું એ રહેશે કે તેઓ પોતાના દાવા પર ખરા ઉતરે છે કે કેમ.