યોગી આદિત્યનાથને યુપીના મુખ્યમંત્રી બનાવવા પર અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલા સંપાદકીય લેખ પર સરકારે સવાલ ઉઠાવ્યાં છે. ન્યૂયોર્ક ટાઇમ્સમાં યોગી આદિત્યનાથની આકરી ટીકા કરવામાં આવી છે. લેખમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યુપીના મુખ્યમંત્રી તરીકે યોગીની પસંદગી પર આલોચના કરવામાં આવી છે. આ આલોચનાના જવાબમાં સરકારે આકરું વલણ અપનાવીને અખબારની સમજ પર સવાલ ઉઠાવ્યાં છે.
સંપાદકીય અને વૈચારિક લેખ વ્યક્તિપરક હોય છે
સરકારનું કહેવું છે કે આ પ્રકારનો સંપાદકીય લેખ લખવો અને છાપવો એ અખબારની બુદ્ધિમતા પર શંકા પેદા કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા ગોપાલ બાગલેએ જણાવ્યું કે તમામ સંપાદકીય અને વૈચારિક લેખ વ્યક્તિપરક હોય છે. ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલો સંપાદકીય લેખ પણ આ પ્રકારનો જ છે. દેશ કે દુનિયામાં કયાંય પણ લોકશાહી પ્રણાલી અને તેના જનાદેશ પર શક કરવાની સમજ પોતાનામાં જ એક શંકાસ્પદ છે.
સંપાદકીયમાં PM મોદીની આકરી ટીકા
NYTમાં હિન્દુ કટ્ટરવાદીઓ માટે મોદીનો ખતરનાક પ્રેમ શિર્ષકથી છપાયેલા સંપાદકીયમાં પીએમ મોદીની આકરી ટીકા કરવામાં આવી છે. લેખમાં લખવામાં આવ્યું છે કે 2014માં પીએમ બન્યાં બાદથી જ મોદી આર્થિક વૃદ્ધિ અને વિકાસના ધર્મનિરપેક્ષ લક્ષ્યોને પ્રોત્સાહિત કરવાની આડમાં કપટપૂર્ણ રીતે પોતાની પાર્ટીમાં સામેલ કટ્ટર હિન્દુવાદીઓનું તૃષ્ટિકરણ કરી રહ્યાં છે.
ફાયરબ્રાન્ડ હિન્દુ ધર્મગુરુ આદિત્યનાથ બન્યા CM
લેખમાં યુપીના સીએમ યોગીના નામનો ઉલ્લેખ કરીને લખવામાં આવ્યું છે કે હાલમાં જ પીએમ મોદીની પાર્ટીએ ફાયરબ્રાન્ડ હિન્દુ ધર્મગુરુ આદિત્યનાથને યુપીના સીએમ બનાવ્યાં. પાર્ટીનું આ પગલું અલ્પસંખ્યકો માટે ખુબ ચોંકવાનારું છે.