મધ્ય લંડનમાં ગઈ કાલે સાંજે સંસદભવનની બહાર કરાયેલા આતંકવાદી હુમલામાં મરણાંક વધીને પાંચ થયો છે અને ઘાયલ થયેલાઓની સંખ્યા 40 છે એમ બ્રિટિશ પોલીસે જણાવ્યું છે.
તો આ મામલે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વીટ કરીને જણાવ્યું છે કે લંડનના હુમલાઓમાં કોઈ ભારતીય નાગરિક ભોગ બન્યા નથી. ઉલ્લેખનીય છે કે લંડનના વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર બુધવારે સાંજે એક શકમંદ ત્રાસવાદીએ એના વાહન નીચે કેટલાક રાહદારીઓને કચડી નાખ્યા હતા. એમાં એક મહિલા સહિત ચાર જણનાં મૃત્યુ નિપજ્યા છે અને બીજાં અનેકને ઈજા થઈ છે.
એક ન્યૂઝ એજન્સી પ્રમાણે તમામ નેતાઓ સુરક્ષિત છે. પ્રધાનમંત્રી થેરેસા મે પણ સુરક્ષિત છે. તો બીજીતરફ હુમલા અંગે કોઈ આતંકી સંગઠને જવાબદારી નથી લીધી. ઘટનાને પગલે સંસદને બંધ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હુમલા બાદ તરત જ વેસ્ટમિન્સ્ટર અંડરગ્રાઉન્ડ સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું હતું.
લંડનમાં બ્રિટિશ સંસદની બહાર આતંકવાદી હુમલો
પાંચના મોત હુમલાખોર ઠાર મરાયો
40 લોકો ઘાયલ
કોઈ ભારતીય નાગરિક ભોગ બન્યા નથીઃ સુષમા સ્વરાજ
લંડનમાં થયેલા આતંકી હુમલાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે. સાથેજ પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં એ પણ લખ્યુ છે કે ભારત આતંક સામેની લડાઈમાં યુકેની સાથે જ છે. આતંકવાદ કોઈપણ ભોગે સાંખી નહી લેવાય. મહત્વનું છે કે લંડનની સંસદ બહાર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં 5 લોકોના મોત થયા છે.