તાજેતરમાં જ રાજકોટમાંથી બે ISISના આતંકવાદીઓ ઝડપાયા બાદ તેને લઈને સમગ્ર ગુજરાતના સામાન્ય લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગર હિંદુ સેનાના પ્રમુખે ઝડપાયેલ આતંકીઓનો કેસ લડનાર વકીલના ઘર પર હુમલાથી માંડીને વકીલની હત્યા કરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ જામનગરના જ એક વકીલે આ કેસ લડવાની તૈયારી પણ દર્શાવી હતી. અન્ય જિલ્લાઓની જેમ આજે જામનગર બાર એસોસિએશન દ્વારા પણ ઠરાવ કરી આ બને આતંકીઓનો કેસ ન લડવા ઠરાવ કરવામાં આવ્યો છે.
હિંદુ સેના દ્વારા આપવામાં આવેલ ચીમકી બાદ આતંકીઓનો કેસ લડવાની તૈયારી દર્શાવનાર ઝાકીર કોરેજાના ઘર પર પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ રાજકોટ અને ભાવનગર બાદ જામનગર બાર એસોસિએશન દ્વારા પણ આજે વકીલોની એક તાકીદની બેઠક કરી અને તેમાં ઠરાવ કરવામાં આવ્યો છે કે દેશદ્રોહી પ્રવૃતિ કરનાર ઇસમોના બચાવમાં કોઈ વકીલ બચાવપક્ષે લડત આપશે નહિ. તો જે વકીલ રાજકોટમાંથી ઝડપાયેલ આતંકીઓના બચાવપક્ષે લડવાની તૈયારી દર્શાવી છે તે જામનગર બાર એસોસિએશનના સભ્યના હોવાનું પણ મંડળના પ્રમુખે જણાવ્યું હતું.
આમ દેશદ્રોહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારને કોઈપણ રીતની મદદ સમાજ કરવા નથી માંગતો તે જામનગર ભાવનગર અને રાજકોટના વકીલોએ સ્પષ્ટ કરી દીધું છે. તો બીજી તરફ આજે જામનગર હિંદુ સેનાના સંયોજક દ્વારા આવા આતંકીઓના બચાવમાં વકીલોને આપવામાં આવેલ લેખિત ચેતવણીને પણ તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી રહી છે.