રાજકોટના કાગવડમાં લેઉવા પટેલ સમાજ જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યો હતો તે ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવ્ય અવસર રંગેચંગે સંપન્ન થઇ રહ્યો છે. આજે ખોડલધામ મહોત્સવનો અંતિમ દિવસ છે.
આજે વહેલી સવારે 5.30થી 6.30 વાગ્યા સુધીમાં મંદિરમાં મા ખોડલની મૂર્તિ સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી. બાદમાં મંદિરના શિખર પર સોનાથી માઢાયેલા ધ્વજદંડ પર 52 ગજની ધ્વજાનું રોહણ કરવામાં આવ્યું હતું. તેમજ 101 દિવાની 21 માતાજીની આરતીઓ ગાવામાં આવી હતી.
ખાસ ટેકનીકથી ધ્વજારોહણ કરવામાં આવી હતી. આ સમયે લાખો લોકોએ મોબાઇલમાં ચાલુ ટોર્ચ લાઇટ શરૂ કરી આ દિવ્ય ઘડીના સાક્ષી બન્યા હતાં. ખોડિયાર માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ બાદ ધ્વજારોહણ અને કળશ અનાવરણ વિધિ યોજાઇ હતી. જેમાં સ્વયંસેવકોને શિખર પર ચડવાની જરૂર પડી નહોતી.
ધ્વજારોહણ વિધિ નીચેથી ખાસ ટેકનિકથી કરવામાં આવી હતી. 52 ગજની ધ્વજા ખોડલના મંદિરના શિખર પર લહેરાઇ હતી. ત્યારે ખોડલધામ ભક્તિના રંગે રંગાયુ હતું. તો 120 કલાકારોએ શંખનાદ ઝાલર નગારા શરણાઇ વગાડીને જયઘોષનો નાદ ગુંજતો કર્યો હતો.
ખોડલધામમાં સૂર્યનું પહેલું કિરણ નિકળે તે પહેલા જ પ્રાણ પ્રતિષ્ઠા સમયે 120 કલાકારોએ શંખ ઝાલર નગારાં બ્યુગલ તુતારી શરણાઇ સહિતના વાજીંત્રો વગાડી ખોડલધામને દિવ્ય માહોલમાં ફેરવી દીધું હતું.
મંદિર પરીસરમાં જ એલઇડી ક્રીનમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ધ્વજારોહણ કળશ અનાવરણ સહિતની વિધિઓ લાઇવ બતાવવામાં આવી છે. આ વિધિ પૂરી થયા બાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું.