અમદાવાદમાં પેટ્રોલ-ડિઝલ વેચતા ડીલર્સ હવેથી રોકડમાં જ પેમેન્ટ સ્વીકારશે. પેટ્રોલ એસોસિએશને એવો નિર્ણય કર્યો છે કે હવેથી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી પેમેન્ટ સ્વીકારવામાં નહિ આવે. એસોસિએશનના દાવા પ્રમાણે ટ્રાન્ઝેક્શન પર 1 ટકા ચાર્જ વસૂલવાનો વિરોધ કરવામાં આવ્યો છે. આરબીઆઈની નવી ગાઈડ લાઈનનો પણ એસોસિએશને વિરોધ કર્યો છે. આ નિર્ણયને પગલે પેટ્રોલ પંપ ખાતે કેશ-ઓન્લી કામગીરી બંધ થશે તો રોકડની તંગીથી પરેશાન ગ્રાહકોની હાડમારી વધી જશે. એટીએમ્સ તથા બેન્કોમાં રોકડનો પ્રવાહ સુધર્યો છે પરંતુ લોકોની તકલીફ સાવ ઓછી થઈ નથી. મહત્વનું છે કે કોલકાતામાં પણ આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. જેને પગલે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
સરકાર કેશલેસ સોદાઓને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે અને કાર્ડના ઉપયોગ દ્વારા પેટ્રોલ-ડિઝલની ખરીદી કરવા પર 0.75 ટકા કેશબેક ઓફરની જાહેરાત પણ કરી હતી તેવામાં પેટ્રોલપંપ માલિકોએ કાર્ડ પેમેન્ટ ન સ્વીકારવાનો નિર્ણય લોકોની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓના કહેવા પ્રમાણે તેઓ પેટ્રોલ પંપ માલિકોના આ નિર્ણયથી અજાણ છે. બેન્કો દ્ધારા લેવામાં આવતા નવા ચાર્જ અંગે પણ તેઓ અજાણ છે.