નોટબંધીને પગલે દેશના નાગરિકોને પડેલી હાલાકી અને કેશ ક્રંચ સાથે વર્ષ 2016નો અંત થયો છે. ગત વર્ષ સરકારે લીધેલા બે મોટા નિર્ણયો - જેમાંથી એક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને બીજો નોટબંધી - આ બંને મોદી સરકારના ખાતે નોંધપાત્ર રહ્યા છે. ત્યારે સરકાર બજેટમાં કેટલીક લોભામણી જાહેરાતો કરી રોષે ભરાયેલી જનતાને ખુશ કરવાનો પ્રયાસ કરશે.
નોટબંધી બાદ દેશની જનતાએ જે તકલીફોનો સામનો કર્યો છે તે રોષ કોઈ પણ રીતે શમે એ સરકાર માટે જરૂરી છે ત્યારે સરકાર આ વર્ષના બજેટમાં કેટલીક રાહતો આપીને દેશની જનતાના ઘાવો પર મલમ લગાવવાનો પ્રયાસ કરશે. વર્ષ 2017નું બજેટ ઐતિહાસિક બની રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. જેમાં બે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. પહેલું તો આ વર્ષે રેલ બજેટ પણ સામાન્ય બજેટ સાથે રજૂ થવા જઈ રહ્યું છે. બીજું સરકાર આ વખતે ફેબ્રુઆરીના અંતમાં નહીં પરંતુ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ બજેટ રજૂ કરવા જઈ રહી છે.
વર્ષ 2017ના બજેટની વાત કરીએ તો આ વર્ષે બજેટમાં ટેક્સની મર્યાદામાં ઘટાડો કરી સરકાર આમ જનતાને ભેટ આપી શકે છે. હાલમાં ટેક્સ મર્યાદા 2.5 લાખથી વધુ પર 10 ટકા ટેક્સ છે. 5 લાખની આવક પર 20 ટકા અને 10 લાખથી વધુ પર 30 ટકા ટેક્સ અમલી છે. સરકાર આ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી જનતાને ખુશ કરી શકે છે. આ સાથે સરકાર ગરીબી રેખા નિચેના લોકો માટે યુનિવર્સલ બેસિક ઇનકમ સ્કીમ અંતર્ગત પ્રતિ માસ ફિક્સ આવકનો લાભ આપવાની જાહેરાત કરી શકે છે. આ સાથે જ નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા મથતી સરકાર ઇ-પેમેન્ટ કરનારા લોકો માટે પણ ટેક્સમાં રાહત જાહેર કરી શકે છે.
તો આ તરફ રેલ બજેટ આમ જનતા માટે કેટલાક અણગમતા સમાચાર લઈને આવશે. રેલ મંત્રાલય રેલવેની આવક વધારવાના મૂડમાં છે. રેલ મંત્રાલય સેફ્ટી ફંડ માટે 1 લાખ 20 હજાર કરોડનું ફંડ એકઠું કરવા રેલ ભાડા પર સેસ લાગુ કરવા જઈ રહ્યું છે. આ સેસ રાષ્ટ્રીય રેલ સંરક્ષણ કોષમાં જમા થશે. આ સેસ સ્લીપર સેકેન્ડ ક્લાસ તેમજ થ્રી યાર એસી પર લાગુ થશે જ્યારે વન અને ટુ ટાયર એસી પર તે નહિવત દરે લાગુ થશે.