કાળાનાણાં પર અંકુશ લગાવવા માટે સરકાર એક અન્ય મહત્વપૂર્ણ નિર્ણય કરી શકે છે. જે અંતર્ગત સરકાર આવતા દિવસોમાં ઘરમાં રોકડ રકમ રાખવાની મર્યાદા નક્કી કરી શકે છે. આવુ થવા પર કોઇપણ વ્યકિત નિશ્ચિત સીમાથી વધુ રકમ રોકડમાં હાથ ઉપર કે ઘરમાં રાખી નહી શકે. માહિતી મુજબ નાણા મંત્રાલય આ મુદ્દે અનેક વિકલ્પો ઉપર વિચાર કરી રહ્યુ છે અને તેની જાહેરાત ટુંક સમયમાં થશે.
સુત્રોના કહેવા મુજબ નોટબંધી બાદ જે રીતે મોટી સંખ્યામાં રોકડ રકમ પકડાઇ રહી છે તે જોતા રોકડ રાખવાની સીમા નક્કી કરવાની જરૂર ઉભી થઇ છે અને આ માટે આવકવેરા કાયદા ૧૯૬૧માં ફેરફાર કરાશે. આ પગલુ એટલા માટે જરૂરી છે કે ત્રણ વર્ષમાં આયકર વિભાગના દરોડામાં 15૦૦ કરોડથી વધુ રોકડ રકમ જપ્ત થઇ છે. 8મી નવેમ્બર બાદથી 16મી ડિસે. સુધીમાં 316 કરોડ જપ્ત થયા છે. આમાંથી 80 ટકા નવી કરન્સી છે. આ પરથી જણાય છે કે લોકોએ જુની નોટ પર પ્રતિબંધ બાદ નવી નોટો જમા કરવાનુ શરૂ કર્યુ છે તેથી જરૂર છે કે રોકડ રાખવાની એક સીમા નક્કી કરવામાં આવે.
આ મર્યાદા 15 લાખ નક્કી થાય તેવી શકયતા છે. કાળા નાણાં માટે રચવામાં આવેલ એસઆઇટીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે નાણા મંત્રી જેટલીને કહ્યુ છે કે રોકડની મર્યાદા નક્કી નહી કરાઇ તો નોટબંધીની કોઇ અસર નહી રહે. એસઆઇટીએ એવુ પણ કહ્યુ હતુ કે કોઇ ખાતામાંથી ત્રણ લાખથી વધુનો ઉપાડ થાય તો તેની માહિતી નાણાંકીય ગુપ્તચર ઓથોરીટી અને આયકર વિભાગને મળવી જોઇએ. સીમાથી વધુ રકમ જણાય તો તે જપ્ત કરવા પણ સુચન કરવામાં આવ્યુ છે.