સરકાર દ્વારા 8 નવેમ્બરે ચલણમાંથી 500 અને 1000 રૂ.ની નોટ રદ કરતા બેંકોનું કામ અનેકગણું વધી ગયું હતું. નોટબંધીના દિવસો બાદ પણ બેંકો અને એટીએમની બહાર લાઇનો ઘટવાનું નામ નથી લેતી. આ સંજોગોમાં નાણામંત્રાલયે આજે એક કડક પગલું ભર્યું છે. આજે નાણામંત્રાલયના આદેશને પગલે RBIની માર્ગદર્શિકાનો ભંગ કરવા બદલે પબ્લિક સેક્ટર બેંકોના 27 અધિકારીઓની હકાલપટ્ટી કરાઈ છે જ્યારે 6ની ટ્રાન્સફર કરવામાં આવી છે.
નોટો બદલવાની પ્રક્રિયામાં સામાન્ય જનતાને તકલીફ ના પડે તે હેતુથી નિરંતર પહેલા ૧૨ દિવસ વિવિધ બેંકના કર્મચારીઓ સેવા બજાવી હતી. તેઓએ સવારના વહેલા આવી રાત્રિના મોડા સુધી પોતાની કામગીરી કરી હતી.
નોટબંધી બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વાર દરરોજ નવા નિયમો ઘડવામાં આવે છે. ત્યારે આવા સંજોગોમાં જનતા ફસાઇ જાય છે. લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે જયાં માંડ વારો આવે ત્યાં પૈસા ખાલી થઇ જાય છે.
આવા સંજોગોમાં બેંકોની સ્થિતિ પણ કફોડી છે કારણ કે બેંકોને નોટો બદલાવવા અને જમા રહેલા પૈસા પરત આપવા માટે મર્યાદિત રકમ જ ફાળવવામાં આવે છે. સાથોસાથ દરરોજના નવા નિયમો અને એટીએમ મશીનની સમસ્યાઓ તેમજ લાંબી લાઇનોને કારણે પરિસ્થિતિ વણસી છે. આ સંજોગોમાં ચર્ચા ચાલી છે કે કેટલીક બેંકોના ઉચ્ચ અધિકારીઓ નિયમોનો ભંગ કરીને નવી નોટો સગેવગે કરી રહ્યા છે. આ સંજોગોમાં RBIની માર્ગદર્શિકાનો ભંગ કરવા બદલે પબ્લિક સેક્ટર બેંકોના 27 અધિકારીઓની હકાલપટ્ટી કરીને પરિસ્થિતિ પર અંકુશ મુકવાનો નિર્ણય લેવાયો છે.