હાર્દિકની મુક્તિ પછી પાટીદાર આંદોલનમાં ભંગાણ પડી રહ્યા છે અને એક પછી એક પાસ નેતાઓ અલગ થઇ રહ્યા છે. ત્યારે પાટીદાર નેતાએ રાજીનામું આપતા પાસ સામે આજે ફરી મોટું સંકટ ઉભું થયું છે.
હાર્દિક પટેલ ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી ગુજરાત બહાર ઉદયપુર ગયા પછી પાટીદાર અનામત આંદોલન સમિતિમાં વિખવાદ પડવાના શરૂ થઈ ગયા છે. રાજકારણમાં એકબીજા પર આક્ષેપ થઇ રહ્યા છે. જેને લઇ નિખિલ સવાણીએ વડોદરા ભરૂચ અને નર્મદાના કન્વિનર પદેથી રાજીનામું ધરી દીધું છે.
નિખીલ સવાણીએ કહયું કે આંદોલનની શરૂઆતમાં હાર્દિકના વિચારો સ્પષ્ટ હતાં. પરંતુ હવે વિચારો અને સ્વભાવ પહેલા જેવા રહ્યા નથી. શરૂઆતમાં દરેક નિર્ણયોમાં દરેકની સંમતિ લેવામાં આવતી હતી. પરંતુ હાર્દિક હવે કોઈનું માનતો નથી એટલે મને લાગે છે કે હવે આ રીતે ચાલતા આંદોલનને મારી જરૂર નથી. આ સિવાય વધુ આક્ષેપ ન કરવાનું કહી સહુ કોઈનો આભાર માની નિખીલે રાજીનામું આપ્યું છે.
ઉલ્લેખનિય છે કે થોડા દિવસો પાસ કોર કમિટિના કેતન પટેલ અને ચિરાગ પટેલે હાર્દિકને ખુલ્લો પત્ર લખીને એક વર્ષમાં કરોડપતિ થઈ ગયો હોવાનો આરોપ લગાવ્યો હતો. પત્રમાં હાર્દિકને ઉલ્લેખીને કહેવામાં આવ્યું હતું કે "જેલમાં હોય તેની આવકનું સાધન બંધ થઈ જાય અને તારે તો ઉલ્ટુ થયું જેલમાં જઈને કરોડપતિ થઈ ગયો વાહ રે હાર્દિક વાહ" ત્યારે હવે સુરતના પાસના કન્વીનર નિખિલ સવાણીએ રાજીનામું ધરી દેતાં પાટીદારોમાં ખળભળાટ મચી ગયો છે.