જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન થઈ જજો. કારણ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી યુવતી અને તેની ગેંગ વેપારીઓને ફ્રેન્ડશીપની જાળમાં ફસાવી કરતી હતી તોડ. રાજકોટ પોલીસના હાથે આ ગેંગના ચાર સાગરીતો આવી જતા આ ગેંગનો પર્દાફાશ થઇ ગયો. કેવી રીતે આ ગેંગ ફસાવતી હતી વેપારીઓને વાંચો અમારા રિપોર્ટમાં.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો પોલીસના કહેવા મુજબ જસદણના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા નાનજીભાઈ શાયાણીએ ગત તારીખ 23ના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રેશ્મા ઠેબા ઉર્ફે માહી પટેલ સહીત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ દોઢ મહિના પહેલા તેમના મોબાઈલ પર યુવતીનો ફોન આવ્યો હતો. રોંગ નંબર કહી યુવતીએ વાર્તાલાપ શરૂ કર્યો હતો. ત્યારબાદ અવારનવાર મેસેજમાં વાત કરી જામનગર રોડ પર વૈષ્ણવ એપાર્ટમેન્ટમાં ગત તારીખ 8ના મળવા બોલાવ્યો હતો. યુવતી સાથે નાનજીભાઈ રૂમમાં બેઠા હતા ત્યારે વસીમ ઉર્ફે લાલો માલવિયા ઉદેશ માંડાણી સોમા વકાતર અને સંજય ચૌહાણ નામના ચાર શખ્સો આવી બ્લેકમેઈલિંગ કરવાનું શરૂ કર્યું હતું. બદનામ કરવાનું કહી યુવતી રેશ્મા સહીત આ ચારેય શખ્સોએ રૂપિયા અઢી લાખ પડાવ્યા હતા. પોલીસમાં ફરિયાદ નોંધાતા ડીસીબી પોલીસ અને ગાંધીગ્રામ-2 પોલીસને મળેલી બાતમીના આધારે ચાર શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે વેપારીને પોતાની જાળમાં ફસાવતી રેશ્મા હજુ પણ ફરાર છે હાલ પોલીસે આ ચારેય શખ્સોની પૂછપરછ શરૂ કરી છે.
પોલીસના કહેવા મુજબ આ ગેંગનો મુખ્ય સાગરીત વારિસ ઉર્ફે લાલો તેની સાથે એક યુવતીને રાખતો હતો અને યુવતીના મોબાઈલમાંથી વેપારીઓને ફોન કરી રોંગ નંબર કહીને વાર્તાલાપ કરવાનું કહેતો હતો. થોડા સમય ફોનમાં વાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર વાત કરવાનું કહી વિશ્વાસમાં લઇ મળવા બોલાવતી હતી. ત્યારબાદ આ ચારેય શખ્સો યુવતીને મળવા આવેલા વેપારીના યુવતી સાથે ફોટા પાડી બ્લેકમેઇલ કરતા હતા. રૂપિયાનો તોડ કરી પોલીસ ફરિયાદ કરશું તેવી ધમકી પણ આપતા હતા.
આ ગેંગનો મુખ્ય સાગરીત વારિસ ઉર્ફે લાલો અને ઉદેશ માંડાણી અગાઉ પણ આ પ્રકારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. રાજકોટ શહેરમાં આ શખ્સોએ બે વેપારીઓ સાથે આ પ્રકારે બ્લેકમેઈલિંગ કર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ શખ્સો અગાઉ પણ રાજકોટના કુવાડવા રોડ પોલીસ અને માલવિયાનગર પોલીસના હાથે પકડાઈ ચુક્યા છે. હાલમાં તોડ કરતી આ ગેંગના ચાર શખ્સોને રાજકોટ પોલીસે ઝડપી લીધા છે. ત્યારે હજુ પણ આ ગેંગની મુખ્ય સાગરીત રેશ્માની પોલીસ ક્યારે ધરપકડ કરે છે અને આ ગેંગે કેટલા વેપારીઓને પોતાનો શિકાર બનાવ્યો છે તે પોલીસ તપાસમાં જ સામે આવશે.