રાજકોટમાં સીંગતેલના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં 85 રૂપિયાનો ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેની અસર ફરસાણ અને નમકીનના ભાવ પર પણ આગામી સમયમાં પડશે. સાતમ- આઠમના તહેવારમાં લોકો સૌથી વધુ ફરસાણ અને નમકીનની ખરીદી કરે છે ત્યારે આગામી સમયમાં ફરસાણ અને નમકીનના ભાવમાં 40 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવશે. જેની સીધી અસર પ્રજાના ખિસ્સા પર પડશે.
આ પહેલા સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2150 રૂપિયા હતો. તેમાંથી રૂપીયા 85નો વધારો ઝીંકાતા 2235રૂ. આસપાસ સીંગતેલનો 15 લીટરનો ડબ્બે ભાવ છે. દિન પ્રતિદિન સીંગતેલના ભાવમાં થતા ભાવવધારા પાછળ સીંગતેલનો વપરાશ ઘટ્યાનું વેપારીઓ કહી રહ્યા છે. રાજકોટ એડિબલ ઓઇલ મર્ચન્ટ એશોશિએશનના પ્રમુખ મનોજભાઈનું કહેવું છે કે આજે ફરસાણના મોટા ભાગના વેપારીઓ સીંગતેલ વાપરતા નથી અને ગૃહિણીઓએ પણ સીંગતેલનો ઉપયોગ ઓછો કરી દીધો છે. સીંગતેલની બદલે પામોલીન તેલ સફોલા સનફ્લાવર અને કપાસિયા તેલનો વપરાશ વધ્યો છે. અને જો આવી જ સ્થિતિ રહી તો આગામી સમયમાં સીંગતેલના ભાવમાં હજુ રૂપિયા 100 નો ભાવ વધારો થશે એ નક્કી છે.
સીંગતેલના ભાવમાં થયેલા વધારાની અસર અન્ય તેલના ભાવ પણ થશે. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે તેલ પર નભતું ફરસાણ પણ મોંઘુ થશે. સેવ ગાઠિયા પાપડી ખાજલી કચોરી ફરસી પુરી સકરપાળા સહિતનું ફરસાણ અને નમકીન પણ મોંઘુ થશે. અત્યારે ફરસાણ અને નમકીનના ભાવ 160 રૂપિયા કિલો છે ત્યારે તહેવારો વખતે કિલોના ફરસાણના ભાવ રૂપિયા 200 થઇ જશે.