રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે ફરસાણના વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી અને ફરસાણમાં વપરાતા અખાદ્ય તેલનો નાશ કરાયો હતો. શ્રાવણ માસના તહેવારોને ધ્યાનમાં લઇને ફરસાણના વેપારીઓ માટે આરોગ્ય વિભાગે નવા નિયમો બહાર પાડ્યા છે. જે કારણે આજે શહેરની મોટાભાગની ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી અને સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે જેમાં ફરસાણના વેપારીઓ ક્યાં તેલમાંથી ફરસાણ બનાવે છે તે બોર્ડ પર દર્શાવવું ફરજિયાત બની રહેશે. માત્ર ફરસાણ જ નહિ મીઠાઈ પણ કયા ઘી માંથી બની છે તે પણ બોર્ડમાં લખવું પડશે. આ ઉપરાંત સિન્થેટિક કલર પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.
જન્માષ્ટમીનો તહેવાર નજીક આવ્યો છે. તહેવારમાં ફરસાણ અને મીઠાઈ ખુબ ડિમાન્ડમાં રહે છે. ફરસાણમાં સહુથી વધુ ભેળસેળ તેલની થાય છે. ગ્રાહકોને સીંગતેલના નામે કપાસિયા અને પામોલીન તેમજ રાયડામાં બનેલું ફરસાણ પધરાવી દેવામાં આવે છે જેને પગલે ગ્રાહકોનું આર્થિક તેમજ શારીરિક રીતે શોષણ થાય છે. જેને રોકવા આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે.
લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ફરસાણના વેપારીઓ પર આરોગ્ય વિભાગે ઘોસ બોલાવી તે આવકારદાયક નિર્ણય છે. પરંતુ સાથે સાથે ફૂડ લાઇસન્સ ન ધરાવતા ખાણી-પીણીના ધંધાર્થીઓ પર આરોગ્ય વિભાગ કાર્યવાહી કરે તે જરૂરી છે.