OPCW સંગઠનને વર્ષ 2013નો શાંતિ નોબેલ પુરસ્કાર મળ્યો છે. રસાયણ હથિયારોના વિરોધમાં કામગીરી બદલ OPCWને શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. નોર્વેની રાજધાની ઓસ્લોમાં ભારતીય સમયાનુસાર બપોરે અઢી વાગ્યે આ પુરસ્કારની જાહેરાત થઈ છે. આ પુરસ્કાર બદલ OPCW સંગઠનને એક ગોલ્ડ મેડલ અને 12 લાખ ડોલર રોકડ મળશે. મહત્ત્વનું છે કે આ સંગઠને વર્ષ 1997થી રસાયણ હથિયારોના વિરોધમાં કામગીરી કરે છે. આ સંગઠનમાં કુલ 179 સભ્યો છે. આ વર્ષે શાંતિના નોબેલ માટે 259 નામ આવ્યા હતાં. જેમાંથી અંતે OPCWની પસંદગી થઈ છે. શાંતિના નોબલ પુરસ્કાર માટે સૌની નજર મલાલા યુસુફરઝાઈ પર હતી. તાલિબાનના હુમલા છતાં પાકિસ્તાની મહિલાઓના શિક્ષણ અને હકો માટે લડત ચાલુ રાખવા બદલ તેને યુવા કાર્યકરના રૂપમાં પુરસ્કારની દોડમાં સૌથી આગળ માનવામાં આવતી હતી. મલાલા ઉપરાંત બળાત્કાર પીડિત મહિલાઓની મદદ માટે અભિયાન ચલાવનાર કોંગોના ડો~ટર ડેનિસ મુકવેગે પણ આ પુરસ્કારની દોડમાં હતાં. આ પહેલા પણ શાંતિના નોબેલ માટે મુકવેગેનું નામ નોમિનેટ કરાયું હતું. જેમણે કોંગોમાં વિદ્રોહીઓ અને સૈનિકો દ્વારા બળાત્કાર પીડિત દસ હજાર મહિલાઓની મદદ માટે હૉસ્પિટલ અને સંસ્થા બનાવી હતી.