મારુતિ સુઝૂકીના પ્રોજેક્ટ સામે હાંસલુપરના ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે કેટલીક જમીન પર ખેતી થાય છે છતાં તે કંપનીને ફાળવી દેવાઈ છે. આ મામલે ભરવાડ સમાજે વિરોધ નોધાવ્યો છે. અને જમીન પરત મેળવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે.
રાજ્ય સરકારે મારૂતિ સુઝૂકી કંપનીને કારનાં પ્રોજેક્ટ માટે માંડલ તાલુકાનાં હાંસલપુર ગામનાં સર્વે નંબર 293 પૈકીની 270 હેક્ટર જમીન ફાળવી છે. મારૂતિ સુઝૂકી કંપનીને ફાળવેલી 270 હેક્ટર જમીન પૈકીની 380 વીઘા જમીનમાં આજે પણ હાંસલપુર ગામનાં ખેડૂતો ખેતી કરી રહ્યાં છે. 1947ની સાલથી ખેતી કરતાં હાંસલપુર ગામનાં ભરવાડ સમાજનાં લોકોને સરકારે 1954માં આ જમીન ફાળવી હતી. દરેક ખેડૂતને 20 એકર પ્રમાણે 130 જેટલાં ખેડૂતોને ફાળવાયેલી જમીન પર 60 વર્ષથી ખેડૂતો મહેસૂલી વેરો તેમજ વીઘોટી પણ ભરતાં હતાં. તેમ છતાં રાજ્ય સરકારે મારૂતિ કંપનીને જમીન ફાળવી દેતાં ભરવાડ સમાજે વિરોધ નોંધાવ્યો છે.
હાંસલપુર ગામની 2400ની વસતીમાં ભરવાડ સમાજની અંદાજે 400ની વસતી છે. ભરવાડ સમાજનાં ખેડૂતો પાસે ગાય ભેંસ અને ઘેટાં-બકરાં મળીને કુલ 800 જેટલાં પશુઓ છે. તમામ ખેડૂતો પશુપાલન પર નિર્ભર છે. ભરવાડ સમાજનાં પશુઓ ચરિયાણ કરી શકે તેમજ ઘાસચારો વાવી શકે તે માટે 1954માં સર્વે નંબર 293 પૈકીની 380 વીઘા જમીન ફાળવી હતી. પરંતુ રાજ્ય સરકારે ભરવાડ સમાજનાં લોકોની ખેતીલાયક જમીન પણ મારૂતિ કંપનીને ફાળવી દેતાં ભરવાડ સમાજનાં 130 ખેડૂતોએ હાઈકોર્ટમાં ધા નાંખી છે. આ ઉપરાંત મારૂતિ કંપનીને ફાળવેલી 668.38 એકર જમીનમાંથી 50 હેક્ટર જમીન હાંસલપુર ગામ માટે નીમ કરવા કલેક્ટર પાસે માગણી કરી છે. પરંતુ ગ્રામજનોની માંગણીને ઠુકરાવી દેતાં સરપંચે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે.
હાંસલપુર ગામનાં નાગરિકોની માગણીને વિરમગામનાં ધારાસભ્ય તેજશ્રીબહેન પટેલે પણ સમર્થન જાહેર કર્યું છે. અને રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અંગે સવાલો ઉઠાવ્યા છે.
મારૂતિ સુઝૂકી કંપનીનાં ચેરમેને વર્ષ 2015 સુધીમાં ગુજરાતનાં પ્લાન્ટમાં કારનું ઉત્પાદન શરૂ કરવાનું કહ્યું છે. પરંતુ હાંસલપુરનાં ભરવાડ સમાજ બાદ સરપંચે પણ ગામ માટે 50 હેક્ટર જમીનની માંગણી મુકીને વિવાદ શરૂ કર્યો છે. ત્યારે હાંસલપુરનાં ગ્રામજનોનાં વિરોધને જોતાં કંપની માટે 2015માં કારનું ઉત્પાદન શરૂ કરવાની ગણતરીઓ ઉંધી પડી શકે તેવાં એંધાણ હાલમાં વર્તાઈ રહ્યાં છે..