નર્મદાના અંતરિયાળ વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં તાડના ઝાડ આવેલા છે. ઉનાળામાં આ ઝાડ પર તાડફળી નામનું ફળ આવે છે. 95 ટકા પાણીનો ભાગ ધરાવતું આ ફળ ઉનાળામાં શીતળતા બક્ષે છે. આદિવાસીને આ ફળ પૂરક રોજગારી પણ પૂરી પાડે છે. જોઈએ તાડફળી અંગે એક અહેવાલ...
લીલા નારિયેળ જેવું દેખાતું આ ફળ નારિયેળ નહિ પણ ગરીબોના અમૃત સમુ તાળફળીનું ફળ છે. તાડના ઝાડ પર થતું આ ફળ માત્ર ઉનાળામાં જ જોવા મળે છે. વહેલી સવારે આદિવાસીભાઈઓ હાઇ-વે પર આ ફળનું વેચાણ કરે છે. આ ફળના વેચાણથી તેઓ પૂરક રોજગારી મેળવે છે. ઉનાળમાં ઠંડક આપતું આ ફળ ગરીબો માટે અમૃત સમાન છે.
તાડફળી સ્વાદમાં મીઠું છે. સાથે સાથે 90 ટકા પાણીનો ભાગ હોવાથી તરસ પણ છીપાવે છે. તાપ સામે રક્ષણ આપતા આ ફળની મજા માણવા દૂર દૂરથી લોકો આવે છે.
આયુર્વેદમાં પણ તાડફળીનું ખૂબ જ મહત્વ છે. શરીરને ગરમી સામે રક્ષણ આપનાર આ ફળ મૂત્રદોષમાં ખૂબ જ ઉપયોગી છે. તાડફળી કીડનીને સાફ રાખે છે. અને ગરમીને બહાર કાઢે છે.
કુદરતના અખૂટ ભંડાર એવા તાડના વૃક્ષનો ઉછેર ધીમો થાય છે. લગભગ 10 વર્ષ બાદ આ ઝાડમાં વૃદ્ધિ થાય છે. ત્યારબાદ તે ફળ આપે છે. આ વૃક્ષ ભલે છાયડો ન આપે પરંતુ શીતળતા તો બક્ષે જ છે.