વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં એક લગ્ન પ્રસંગ અચાનક માતમમાં ફેરવાઇ ગયો. અહીં લગ્ન પ્રસંગે મંડપ બાંધી રહેલા 5 ઇસમોને કંરટ લાગતા 2ના કરૂણ મોત નીપજયુ છે. જયારે 3ને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પારડીના ઉમરસાડીના આ મકાનમાં ખુશીનો માહોલ અચાનક ગમમાં ફેરવાઇ ગયો. લગ્ન પ્રસંગ હોઇ મહેમાનોની અવરજવર હતી. ત્યાં જ અચાનક અકસ્માત થયો. મંડપ બાંધી રહેલા 5 લોકોને અચાનક વીજ કરંટ લાગ્યો અને અફરાતફરી સર્જાઇ.ઘટના બનતા એકઠા થયેલા લોકોએ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા. જેમાં 2 વ્યક્તિઓનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 3 લોકો સારવાર હેઠળ છે. ઉમરસાડીમાં બનેલી આ ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. લોખંડની બોર્ડર વાળા મંડપને વીજ તાર અડકી જતાં આ ઘટના બની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેમાં વીજ કરંટ લાગતા મંડપ ઉપાડી રહેલ 5 લોકો દુર સુધી ફંગોળાયા હતા. તો ગામ લોકોનો આક્ષેપ છે કે વીજ તાર અતીશય નીચા છે. અગાઉ વીજ વિભાગને જાણ કરી હોવા છતાં હજુ સુધી પગલા લેવાયા નથી.
વીજ કરંટની ઘટનામાં 2 વ્યક્તિના મોત પાછળ ખરેખર વીજકંપની જવાબદાર છે કે નહિ તે હજુ સુધી બહાર આવ્યું નથી. ત્યારે પોલીસ આ વ્યક્તિઓના મોતના કારણ અંગે તપાસ કરે તેવી સ્થાનિકોએ માગ કરી છે.